દિલ્હીઃ વોર્નિંગ લેવલથી ઉપર વહી રહી છે યમુના, નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ


- યમુનાના વધી રહેલા જળ સ્તરને ધ્યાનમાં રાખીને લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો

નવી દિલ્હી, તા. 30 જુલાઈ, 2021, શુક્રવાર

હરિયાણાના હથિની કુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે દિલ્હીમાં યમુના નદી ફરી એક વખત ડેન્જર ઝોનમાં છે. યમુના નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે. યમુના નદી હાલ જોખમના નિશાનની નીચે પણ વોર્નિંગ લેવલથી ઉપર વહી રહી છે. યમુના નદીમાં જળ સ્તર વધવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વર્તાવા લાગ્યું છે. દિલ્હીમાં ગાઢ વાદળો છવાયેલા છે અને હવામાન વિભાગે યમુનાને અડીને આવેલા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. 

છેલ્લા 2 દિવસથી યમુનાનગરના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. લાખો ક્યુસેક પાણી દિલ્હી બાજુ આવી રહ્યું છે. યમુનાના વધી રહેલા જળ સ્તરને ધ્યાનમાં રાખીને લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ દિલ્હીમાં યમુનાનું જળ સ્તર 205.17 મીટર પર છે. જે ચેતવણી સ્તર (204.50 મીટર)ને પાર કરી ગયું છે. જોકે હજુ જોખમના સ્તર (205.33 મીટર)થી 16 સેમી નીચે છે. 

જ્યાં સુધી દિલ્હીમાં યમુનામાં જળ ભરાવાની વાત છે તો તમામ એજન્સીઓ તેના પર નજર રાખી રહી છે. જો સ્થિતિ ગંભીર થઈ તો યમુનાના કિનારે વસેલા અન્ય કેટલાક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી શકે છે. આ તરફ પ્રશાસન રાહત અને બચાવનું કામ સંભાળી શકે છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vl66Bg
via IFTTT

ટિપ્પણીઓ નથી: