અયોધ્યામાં દિવાળીએ 12 લાખ દીપ પ્રાગટયનો વિશ્વવિક્રમ


- વર્લ્ડ રેકોર્ડ માટે દરેક દીવો પાંચ મિનિટ પ્રજ્વલ્લિત રહે તે જરૂરી હતું : ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ ખાસ હાજર રહી

- રામ કી પૈડી ઘાટ પર નવ લાખ, રામમંદિરમાં ૫૧ હજાર અને અયોધ્યાના વિવિધ ભાગોમાં 2.5 લાખ દીવડા પ્રજવલિત કરાયા

- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોના કાળમાં મફત રાશનની શરૂ થયેલી યોજના આગામી માર્ચ સુધી જારી રાખવાની જાહેરાત કરી

- ઉ.પ્રદેશના 15 કરોડ લોકોને હવે ઘઉં, ચોખાની સાથે તેલ અને દાળ પણ મફત મળશે

નવી દિલ્હી : અયોધ્યામાં ભવ્યાતિભવ્ય દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે રામ કી પૈડી ઘાટ પર નવ લાખ, રામમંદિરમાં ૫૧ હજાર અને શહેરના વિવિધ હિસ્સામાં ૨.૫ લાખ એમ કુલ ૧૨ લાખ દીવાના પ્રાગટયનો વિશ્વવિક્રમ સર્જાયો હતો. આ આયોજનને જોવા માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આ વિશ્વવિક્રમ બનાવવા માટે દરેક દીવાએ ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી પ્રજ્વલ્લિત રહેવું જરૂરી હતું. ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ માટે  ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. દીપોત્સવના મુખ્ય અતિથિ કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડી છે.  યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હવે આગામી કારસેવકોમાં ભગવાન રામ અને કૃષ્ણના ભક્તો પર ગોળીઓની નહી પુષ્પોની વર્ષા થશે. 

અવધ યુનિવર્સિટીના વહીવટીતંત્રએ ૧૨ હજાર સ્વયંસેવકોના સહયોગથી ઘાટ સમન્વયક તેમજ વડાના માર્ગદર્શનમાં મંગળવારે જ ખાસ પેટર્નમાં ૧૨ લાખ દીવા ગોઠવવાનું કામ પૂરુ કર્યુ હતું. 

૧૨ લાખ દીવામાં બુધવારે જ તેલ નાખવામાં આવ્યું હતું અને પ્રગટાવવામાં આવ્યા હતા. દીપોત્સવમાં ૩૨ ઘાટ પર બસો સમન્વયક, ૩૨ નિરીક્ષક અને ૩૨ વડા નીમવામાં આવ્યા છે. બાર હજાર સ્વયંસેવકમાં દરેકને ૭૫ દીપ પ્રગટાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. 

અયોધ્યામાં દીપોત્સવી સમારંભના કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે પહેલાની સરકાર કબ્રસ્તાન પર રૂપિયા ખર્ચતી હતી, પરંતુ હવે મંદિરોના પુર્નવિકાસ અને સૌંદર્યીકરણ પર રૂપિયા ખર્ચવામાં આવે છે. રામમંદિરનું નિર્માણ ૨૦૨૩માં પૂરું થઈ જશે. 

કેન્દ્રીય પ્રધાન કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે ૧૨ લાખ દીપ પ્રાગટયના મહતોત્સવની દીપમાળા સમગ્ર વિશ્વને પ્રકાશિત કરી રહી છે. આ ફક્ત વિશ્વવિક્રમ નથી, પરંતુ સમગ્ર વિશ્વને ભગવાન રામની મર્યાદાનો સંદેશ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે ૨૦૩૦ સુધી અયોધ્યા વિશ્વની સૌથી મોટી ધાર્મિક પર્યટન નગરી હશે. માનવામાં આવે છે કે દસ વર્ષ પછી અયોધ્યા આવનારા પ્રવાસીઓની સંખ્યા પાંચ કરોડ હશે. ભગવાન શ્રીરામ ૧૪ વર્ષનો વનવાસ કાપી પરત આવ્યા હતા ત્યારે આ દીપોત્સવનું આયોજન થયું હતું. આમ જે પ્રકારે ભગવાન રામના સ્વાગતમાં અયોધ્યામાં દીપોત્સવનું આયોજન થયું હતું તે જ રીતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને અયોધ્યાને ફરીથી પ્રકાશિત કરી છે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ૬૬૧ કરોડની ૫૦ યોજનાઓનું લોકાર્પણ કર્યુ અને શિલાન્યાસ કર્યો. અયોધ્યાના રામમંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ભેટ પહોંચી. દીપોત્સવ કાર્યક્રમ માટે ૫૦૦ ડ્રોન કેમેરા લગાવાયા હતા. આ વખતે પહેલી વખત એરિયલ ડ્રોન શો થશે અને તેનાથી તેની ભવ્યતામાં અને આકર્ષણમાં અનેકગણો વધારો થશે. ત્રિનિદાદ, ટોબેગો, વિયેતનામ અને કેન્યાના રાજદૂતે અયોધ્યામાં દિવાળી સમારંભ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાનું પાત્ર ભજવનારા પાત્રોને તિલક કર્યુ હતુ. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ તેમની પૂજા કરી હતી. તેમને હાર પહેરાવ્યા હતા. ભગવાન રામ, ભગવાન લક્ષ્મણ અને દેવી સીતાનું પાત્ર ભજવનારા કલાકાર દિવાળી સમારંભ માટે હેલિકોપ્ટરથી પહોંચ્યા. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યામાં દીપોત્સવી કાર્યક્રમ દર વર્ષે નવાને નવા સ્તરને સ્પર્શી રહ્યો છે. ભવ્ય રામમંદિર નિર્માણથી પ્રવાસને વેગ મળશે. ઉત્તરપ્રદેશ સરકાર ભારત સરકારની મદદથી આ દિશામાં કામ કરી રહી છે. દીપોત્સવને લઈને સાધુસંતો તેમજ લોકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરયૂ ઘાટ પર કલાકારોએ ભગવાન રામ, રાવણ દહનની રંગોળી બનાવી છે. 

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે કોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી મફત રાશન યોજના હવે હોળી સુધી લંબાવવામાં આવી છે. તેના લીધે ૧૫ કરોડ લોકોને તેનો ફાયદો મળશે. ફ્રી રાશન યોજના હેઠળ ઘઉં, ચોખા ઉપરાંત દાળ, તેલ  અને મીઠુ આપવાનો પણ નિર્ણય લીધો છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YhyKFw
via IFTTT

ટિપ્પણીઓ નથી: