એરપોર્ટ પર ઘડીયાળ જપ્ત કરવાનો વિવાદઃ હાર્દિકે કહ્યુ કે, પાંચ કરોડ નહીં પણ 1.5 કરોડ કિંમત છે, મેં જ કસ્ટમને જાણ કરી હતી


મુંબઈ, તા. 16. નવેમ્બર, 2021 મંગળવાર

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈ એરપોર્ટ પર તેની ઘડિયાળો જપ્ત કરાયા બાદ જાગેલા વિવાદમાં સફાઈ આપી છે.

મંગળવારે હાર્દિકે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, જ્યારે હું દુબઈથી પાછો આવી રહ્યો હતો ત્યારે મેં સામે ચાલીને કસ્ટમ અધિકારીઓને મારી ઘડિળાયો આપી હતી.હાર્દિકે તમામ બીજા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યુ છે કે, ઘડિયાળની કિંમત 5 કરોડ રુપિયા નથી.સોશિયલ મીડિયા પર ખોટો દાવો કરાઈ રહ્યા છે.તેની કિંમત 1.5 કરોડ રુપિયા છે.

હાર્દિકે કહ્યુ છે કે, હું 15 નવેમ્બરે દુબઈથી પાછો આવી રહ્યો હતો ત્યારે એરપોર્ટ પર મારો સામાન લઈને હું જાતે એરપોર્ટના કસ્ટમ કાઉન્ટર પર ગયો હતો અને દુબઈથી લાવેલી તમામ વસ્તુઓને ત્યાં રજૂ કરી હતી અને કસ્ટમ ડ્યુટી ભરી હતી.સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાત ફેલાવાઈ રહી છે.કસ્ટમ વિભાગે જે પણ કાગળ માંગ્યા છે તે અમે આપી રહ્યા છે.કસ્ટમ વિભાગ ડ્યુટી કેટલી ભરવી તેનો હિસાબ લગાવી રહ્યો છે અને તે હું ભરવા માટે તૈયાર છું.

હાર્દિકે આગળ કહ્યુ છે કે, હું કાયદાનુ પાલન કરનાર નાગરિક છું, તમામ સરકારી એજન્સીઓનુ સન્માન કરુ છું અને જે પણ કાગળની જરુર હશે તે હું પૂરી પાડીશ.

ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે એવા અહેવાલ વહેતા થયા હતા કે, હાર્દિક પંડ્યાની પાંચ કરોડ રુપિયાની બે ઘડિયાળો કસ્ટમ વિભાગે જપ્ત કરી છે.2020માં પણ હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પાસે આ રીતે એરપોર્ટ પર ઘડિયાળો જપ્ત કરાઈ હતી.

વિદેશથી કોઈ નાગરિક જ્યારે ભારત કોઈ વસ્તુ ખરીદીને લાવે ત્યારે તેણે તમામ સામાનની જાણકારી આપવી પડતી હોય છે અને તેના બિલ રજૂ કરવા પડતા હોય છે.જેના આધારે ડ્યુટી નક્કી થાય છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kH3yaC
via IFTTT

ટિપ્પણીઓ નથી: