ટાંટિયાતોડ રાજકારણઃ દિગ્વિજય સિંહ રામધૂન ગાવા આવવાના હોવાથી BJP ધારાસભ્યે ભગવા રંગમાં રંગાવ્યું કાર્યાલય

- રામેશ્વર શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કોંગ્રેસી નેતાઓના ટાંટિયા તોડવાની વાત કરી રહ્યા હતા
નવી દિલ્હી, તા. 24 નવેમ્બર, 2021, બુધવાર
ભોપાલના ધારાસભ્ય રામેશ્વર શર્માનું કાર્યાલય પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના સ્વાગત માટે તૈયાર છે અને ત્યાં ખાસ પ્રકારનો શણગાર જોવા મળી રહ્યો છે. હકીકતે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે થોડા દિવસ પહેલા એવી જાહેરાત કરી હતી કે, તેઓ ધારાસભ્ય રામેશ્વર શર્માના ઘરે જશે અને ત્યાં રામધૂન કરશે. રામેશ્વર શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કોંગ્રેસી નેતાઓના ટાંટિયા તોડવાનું કહેતા સંભળાયા હતા. તેના જવાબમાં દિગ્વિજય સિંહે રામધૂન ગાવાની વાત કરી હતી.
ત્યાર બાદ ધારાસભ્ય રામેશ્વર શર્માએ તેમનું સ્વાગત કરવાની તૈયારી દર્શાવી હતી અને તેના માટે જ કાર્યાલય ખાતે તૈયારીઓ કરવામાં આવી છે. દિગ્વિજય સિંહ અને કોંગ્રેસી કાર્યકરોના આગમનની વ્યવસ્થાને લઈ ભાજપના ધારાસભ્યએ પોતાના સંપૂર્ણ કાર્યાલય પરિસરમાં ભગવા રંગના ઝંડા, શ્રીરામ સ્વાગત દ્વાર અને 1,000 કરતા પણ વધારે લોકો બેસીને રામધૂન કરી શકે તે માટેની વ્યવસ્થા કરી છે.
તમામ રામ ભક્તો માટે પ્રસાદ તરીકે પૂરી શાક અને હલવો તૈયાર કરાવાયા છે જેથી જે રામભક્તો કાર્યાલયમાં આવે અને ભગવાન શ્રી રામનું સ્મરણ કરે તેઓ પ્રસાદ લઈને જાય. બુધવારે બપોરે 11:30 કલાક આસપાસના સમયે દિગ્વિજય સિંહ અને અન્ય કોંગ્રેસી નેતાઓ ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માના કાર્યાલય પહોંચશે.
હકીકતે થોડા દિવસો પહેલા રામેશ્વર શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કોંગ્રેસી નેતાઓના ટાંટિયા તોડવાની વાત કરી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, તેઓ 24 નવેમ્બરના રોજ રામેશ્વર શર્માના ઘરે પહોંચશે અને ત્યાં એક કલાક સુધી રામધૂનનો પાઠ કરશે. દિગ્વિજય સિંહે પડકાર આપ્યો હતો કે, 'જોઉં છું કોણ મારા ટાંટિયા તોડે છે.'
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CMiV7U
via IFTTT
ટિપ્પણીઓ નથી: