અયોધ્યાઃ સીએમ યોગીએ રામ જન્મભૂમિ ખાતે 'રામ લલ્લા'ના દર્શન કર્યા, હનુમાનગઢી ખાતે પણ કરી પૂજા-અર્ચના


- અયોધ્યામાં જ્યારે ભવ્ય શ્રીરામ મંદિર બનશે તે સાથે જ અયોધ્યા દેશ અને દુનિયાની સૌથી સારી ધાર્મિક અને આધ્યાત્મિક નગરી હશેઃ યોગી

નવી દિલ્હી, તા. 04 નવેમ્બર, 2021, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દિવાળીના પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ ખાતે રામલલ્લાના દર્શન કર્યા હતા. તેના પહેલા તેમણે હનુમાનગઢી મંદિર ખાતે પણ પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ નાની છાવણી ખાતે નૃત્ય ગોપાલદાસજીની મુલાકાત લીધી હતી. તેમણે કૌશલ કિશોર દાસના હાલચાલ પણ જાણ્યા હતા. કૌશલ કિશોર ગોરખનાથ પીઠ સાથે સંકળાયેલા રહ્યા છે. ત્યાર બાદ મુખ્યમંત્રી યોગીએ અયોધ્યામાં એક ગરીબના ઘરે જઈને તેમના ખબર-અંતર પુછ્યા હતા. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિવાળીની શુભેચ્છા પણ પાઠવી છે. યોગીએ કહ્યું કે, સમગ્ર પ્રદેશવાસીઓને દીપાવલીની મંગળમય કામનાઓ વ્યક્ત કરૂ છું. એટલું જ નહીં, પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાને લઈ તેમણે વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો હતો. 

દીપોત્સવ પ્રસંગે યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે હું અહીં પહેલા દીપોત્સવમાં આવ્યો હતો ત્યારે પણ અમે કહ્યું હતું કે, ધૈર્ય રાખો, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર અવશ્ય બનશે. અંતતઃ તમારા સૌના સંકલ્પનો વિજય થયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગષ્ટ, 2020ના રોજ આ કાર્યક્રમનો શુભારંભ કરી દીધો છે. અયોધ્યામાં જ્યારે ભવ્ય શ્રીરામ મંદિર બનશે તે સાથે જ અયોધ્યા દેશ અને દુનિયાની સૌથી સારી ધાર્મિક અને આધ્યાત્મિક નગરી હશે. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q3QcZu
via IFTTT

ટિપ્પણીઓ નથી: