પ્રિયંકા ગાંધીએ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવાને ગણાવ્યો ડરથી લેવાયેલો નિર્ણય, કહ્યું- જનતા જવાબ આપશે

- જ્યારે મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર, ગોવા, ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ રાજ્ય સરકારોએ વેટ ઘટાડવાની જાહેરાત કરી
નવી દિલ્હી, તા. 04 નવેમ્બર, 2021, ગુરૂવાર
કેન્દ્રની મોદી સરકારે દિવાળી પર જનતાને ભારે મોટી રાહત આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ પેટ્રોલની કિંમતોમાં 5 રૂપિયા જ્યારે ડીઝલની કિંમતોમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. જોકે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર નિશાન સાધીને તેને ડરના કારણે લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે.
પ્રિયંકાએ ટ્વિટમાં લખ્યું હતું કે, આ દિલથી નહીં પણ ડરથી નીકળેલો નિર્ણય છે. વસૂલી સરકારની લૂંટનો આવનારી ચૂંટણીમાં જવાબ આપવાનો છે. કિંમતો ઘટાડવાના સરકારના નિર્ણય પહેલા પણ પ્રિયંકાએ ટ્વિટ કરીને મોંઘવારી મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું.
જનતા માફ નહીં કરે
પ્રિયંકાએ ટ્વિટમાં લખ્યું હતું કે, તહેવારોનો સમય છે. મોંઘવારીના કારણે સામાન્ય જનતા પરેશાન છે. ભાજપા સરકારની લૂંટવાળી વિચારસરણીના કારણે તહેવારો પહેલા મોંઘવારી ઘટાડવાના બદલે ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, તેલ, શાકભાજીના ભાવ આસમાને પહોંચાડી દીધા. ચૂંટણી સમયે ભાજપા 1-2 રૂપિયા ઘટાડીને જનતા વચ્ચે જશે, ત્યારે તેને આકરો જવાબ મળશે. જનતા માફ નહીં કરે.
અશોક ગેહલોતનું નિવેદન
આ તરફ કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી ત્યાર બાદ રાજ્યોને પણ વેટ ઘટાડવા વિનંતી કરી હતી. ભાજપા શાસિત રાજ્યોએ તેનો સ્વીકાર કરીને કિંમતો ઘટાડવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે પેટ્રોલ પર 7 રૂપિયા વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. તે સિવાય ગુજરાત સરકારે બંને ઉત્પાદનો પર 7 રૂપિયા વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. જ્યારે મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર, ગોવા, ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ રાજ્ય સરકારોએ વેટ ઘટાડવાની જાહેરાત કરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CJVNrz
via IFTTT
ટિપ્પણીઓ નથી: