પૂર્વાંચલ એક્સપ્રેસ વે ૩.૨ કિ.મી. લાંબી એરસ્ટ્રીપ સાથે ચીનને પડકારવાનો રાજમાર્ગ

સુલતાનપુર, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સુલતાનપુરમાં રૂ. ૨૨,૫૦૦ કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં બનેલા ૩૪૧ કિ.મી. લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યું હતું. લખનઉને ગાઝીપુર સાથે જોડતા છ લેનના એક્સપ્રેસ-વેના ઉદ્ધાટન માટે વડાપ્રધાન મોદીએ હવાઈદળના સી-૧૩૦ હરક્યુલિસ વિમાનથી પૂર્વાંચલ એક્સપ્રેસ વેની એર સ્ટ્રીપ પર ઉતરાણ કર્યું હતું. આ એક્સપ્રેસ વે ચીનને પડકારવા માટેનો રાજમાર્ગ બની શકે છે. તેના પર ફાઈટર પ્લેનના ઈમર્જન્સી લેન્ડિંગ માટે ૩.૨ કિ.મી. લાંબી એર સ્ટ્રીપ બનાવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ જુલાઈ ૨૦૧૮માં કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ત્રણ-ચાર વર્ષ પહેલાં અહીં માત્ર જમીન હતી અને આજે અહીંથી અત્યાધુનિક એક્સપ્રેસ-વે પસાર થઈ રહ્યો છે. આ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશમાં આધુનિક બની રહેલી સુવિધાઓનું પ્રતિબિંબ છે. ઉત્તર પ્રદેશમાં અગાઉની સરકારોએ પૂર્વાંચલ વિસ્તારને માફિયાવાદ અને ગરીબીમાં ધકેલી દીધો હતો. અગાઉના મુખ્યમંત્રીઓએ વિકાસને તેમના ઘર સુધી જ મર્યાદિત રાખ્યો હતો. પરંતુ આજે ઉત્તર પ્રદેશમાં વિકાસની બાબતમાં પશ્ચિમ જેટલું જ મહત્વ પૂર્વાંચલને પણ અપાય છે.
આ એક્સપ્રેસ વે મારફત ઉત્તર પ્રદેશનો પૂર્વાંચલ વિસ્તાર માત્ર પાટનગર લખનઉ જ નહીં, દેશની રાજધાની દિલ્હી સાથે પણ જોડાઈ ગયો છે. આ એક્સપ્રેસ વે અંદાજિત ખર્ચથી પાંચ ટકા ઓછા ખર્ચમાં તૈયાર થયો છે. આ સાથે ઉત્તર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય છે, જેની પાસે એરસ્ટ્રીપ ધરાવતા બે એક્સપ્રેસ વે છે. એક એરસ્ટ્રીપ લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર છે અને બીજી પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર છે.
ચીન પૂર્વીય લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની એલએસી નજીક નવા એરબેઝ બનાવી રહ્યું હોવાથી પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું મહત્વ વધી જાય છે. આ એક્સપ્રેસ વે પર કુડેભારમાં ૩.૨ કિ.મી. લાંબી એરસ્ટ્રીપ બનાવાઈ છે, જ્યાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફાઈટર વિમાનોનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવાઈ શકે છે. આ એરસ્ટ્રીપ પર મંગળવારે સુખોઈ, મિરાજ સહિતના ફાઈટર વિમાનોએ ટચડાઉન લેન્ડિંગ સાથે 'એર શો' દર્શાવ્યો હતો.
ભૂતપૂર્વ ફાઈટર પાઈલટે કહ્યું હતું કે, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધોમાં પાકિસ્તાની એરફોર્સના વિમાનોએ ભારતીય એરબેઝ પર બોમ્બમારો કરતાં હવાઈદળે અનેક વિમાનો ગુમાવી દીધા હતા. આ અનુભવમાંથી શીખ મેળવતા હવાઈદળે દેશભરમાં કેટલાક એક્સપ્રેસ વે પર નિર્ધારિત એરસ્ટ્રીપનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ યોજનાના ભાગરૂપે એરબેઝની નજીક એક્સપ્રેસ વે પર એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં બનેલી બંને એરસ્ટ્રીપ પણ એરબેઝની નજીક છે, જ્યાં ઈમર્જન્સી સ્થિતિમાં ફાઈટર પ્લેનનું લેન્ડિંગ અને ટેકઓફ કરી શકાશે.
કુડેભાર એરસ્ટ્રીપ કાનપુર, બરેલી અને ગોરખપુર એરબેઝની નજીક છે. આ એરબેઝ ચીન વિરુદ્ધ યુદ્ધના સંજોગોમાં ફ્રન્ટલાઈન બેઝ છે. ચીની એરફોર્સે એલએસી નજીક તેના ફાઈટર પ્લેન માટે કાશગર, હોટન, દમક્સુંગ, લ્હાસા, શિગાત્સે, નગારી-ગાર ગુન્સા, બાંગડા અને ન્યિનમગ્ચીમાં અન્ડરગ્રાઉન્ડ એરબેઝ બનાવી રહ્યું છે. આથી ભારતીય હવાઈદળ માટે એક્સપ્રેસ વેને ફાઈટર પ્લેનના લેન્ડિંગ-ટેકઓફ માટે અનુકૂળ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ એરસ્ટ્રીપ નજીકથી હવાઈદળના એર ટ્રાફિકનું સંચાલન થઈ શકશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kIXL4n
via IFTTT
ટિપ્પણીઓ નથી: