ભારતની પોતાની ક્રિપ્ટોકરન્સી હશે, RBIનો સંકેત


ક્રિપ્ટોકરન્સી દેશહિત માટે જોખમી સાબિત થઈ શકે એવી ચિંતા

ક્રિપ્ટોકરન્સી ખોટા હાથમાં જાય તો નુકસાન, યુવાધન બરબાદ થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેતવણી

અમદાવાદ : ક્રિપ્ટોકરન્સી કે ડિજિટલ ચલણ માટે ભારતમાં નિયમો અને કાયદા અંગે અનિશ્ચિત વાતવરણ વચ્ચે કેન્દ્ર સરકાર (દેશની જાહેર નીતિ ઘડવા માટે) અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(દેશમાં ચલણ અને નાણા નીતિ માટે જવાબદાર) બન્ને ઝડપથી આગળ વધી રહ્યા હોય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ક્રીપ્ટોકરન્સી ખોટા વર્ગના હાથમાં જાય નહી તેના માટે લોકતાંત્રિક દેશોએ સહયોગ કરવો જોઈએ એવી વાત કરી હતી. બીજી તરફ, ક્રીપ્ટોકરન્સી દેશના અર્થતંત્ર અને નાણકીય સીસ્ટમ માટે જોખમી હોવાનું વલણ ધરાવતી રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતનું સત્તાવાર ડીજીટલ ચલણ લોન્ચ કરવા માટેના સંકેત આપ્યા છે.

સિડની ડાયલોગમાં ડીજીટલ ક્રાંતિ અંગે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ટેકનોલોજી અને ડેટા નવા શસ્ત્ર છે. ટેકનોલોજીની અદભૂત શક્તિઓનો ઉપયોગ સહકાર કે ઘર્ષણ માટે બળજબરી કે વિકલ્પ કે પછી વિકાસ કે આધિપત્ય માટે કરવો તે અંગે વિવિધ રાષ્ટ્રોેએ નક્કી કરવાનું છે.

'વિવિધ રાષ્ટ્રોના હિતોની સાથે ટેકનોલોજી થકી વ્યાપાર, મૂડીરોકાણ અને જાહેર હિતને પ્રોત્સાહન મળવું જોઈએ. ઉદાહરણ તરીકે ક્રીપ્ટોકરન્સી કે બીટકોઈન માટે દરેક લોકતાંત્રિક દેશ સાથે મળી કાર્ય કરે એ જરૂરી છે. એ ખોટા વર્ગના હાથોમાં જવા જોઈએ નહી તેનાથી આપણા યુવાનો ભ્રમિત થઇ શકે છે,' એમ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જણાવ્યું હતું.

અગાઉ, સ્થાનિક નિષ્ણાતો અને વરિષ્ઠ મંત્રીઓ સાથે રવિવારે વડાપ્રધાને બેઠક કરી હતી. આ બેઠકમાં પણ ક્રીપ્ટોકરન્સી જેવું અનિયંત્રિત ચલણ હવાલાના કારોબાર કે ત્રસવાદી સંગઠનના નાણા સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવા નહી તેના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભારતમાં આ ચલણના ઉપયોગ, વ્યવહાર અને નિયંત્રણ અંગે નીતિ ઘડી કાઢવા માટે વાર્તાલાપ શરૂ કરવાની હિમાયત કરવામાં આવી હતી.

દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભારતના સત્તાવાર ચલણને ડીજીટલ સ્વરૂપ તરીકે લોન્ચ કરવા આગળ વધી રહી છે. દેશની સેન્ટ્રલ બેંકના પેમેન્ટ અને સેટલમેન્ટ વિભાગના વડા પી વાસુદેવને જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોેરણે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ ડીજીટલ ચલણ લોન્ચ થઇ જશે.

સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ ચલણ એટલે એવું ચલણ કે જેમાં ચલણી નોટની જરૂર નહિ રહે અને તેના સ્થાને માત્ર તેનું બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ કરી ડીજીટલ સર્જન જ થશે.

સમગ્ર્ર દુનિયામાં ક્રીપ્ટોકરન્સીનું સર્જન પણ આ ટેકનોલોજીથી જ થાય છે પણ ફરક એટલે છે કે તેને કોઇ પણ દેશ કે દેશની મધ્યસ્થ બેંક તરફથી માન્યતા આપવામાં આવી નથી. વિશ્વના અગ્રણી અર્થતંત્રમાં ચીન એક એવો દેશ છે કે જેણે પોતના ચલણ યુઆનના ડીજીટલ સ્વરૂપને પ્રાયોગિક ધોરણે લોન્ચ કરી દીધું છે.

ઓગસ્ટમાં રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસે રિઝર્વ બેંક ડીજીટલ કરન્સીનો વિકલ્પ શરૂ કરવા અંગે તૈયાર હોવાનું અને ડિસેમ્બરમાં તેનો પ્રયોગ શરૂ કરશે એવી જાહેરાત કરી હતી. જોકે, આ એક જટિલ પ્રક્રિયા હોવાથી તેમાં વિલંબ થઇ રહ્યો છે એવું હવે રિઝર્વ બેંક જણાવી રહી છે. 'અમે આ માટે કામગીરી કરી રહ્યા છીએ.

સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ ચલણ અંગેના દરેક પાસાનો ઝીણવટભર્યો અભ્યાસ ચાલી રહ્યો છે. આ સરળ કામ નથી કે આવતીકાલથી જ તેની આદત પડી શકે. તેનો કઈ રીતે અમલ થાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેના આધારે ઉપયોગીતા નક્કી થશે એટલે બહુ ઉતાવળ કરવી જોઈએ નહિ,' એમ વાસુદેવને ઉમેર્યું હતું. 

ભારતમાં ક્રિપ્ટોનો ઉપયોગ વધી રહ્યો છે

એક અંદાજ અનુસાર ભારતમાં રૂપિયા છકરોડનું રોકાણ ધરાવતા 10 કરોડ ક્રીપ્ટોકરન્સીના એકાઉન્ટ છે. જોકે, રિઝર્વ બેંક આ આંકડા સાથે સહમત નથી પણ સ્વીકારે છે કે દેશમાં ડીજીટલ ચલણનો ઉપયોગ અને વ્યવહારોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે

ક્રિપ્ટો અને ડિજિટલ ચલણ માટે ગાડી ટોપ ગીયરમાં 

તા.15 નવેમ્બર :  વડાપ્રધાન નરન્દ્ર મોદીએ ક્રીપ્ટોકરન્સી અંગે દેશના આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, નિષ્ણાતો સાથે બેઠક કરી.

તા. 16નવેમ્બર :  દેશના નાણા વિભાગની સંસદીય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ક્રીપ્ટો નાણાકીય વ્યવસ્થાની તક અને પડકાર માટે વિવિધ સાંસદો અને નિષ્ણાતો સાથે બેઠક કરી.

તા.17 નવેમ્બર :  રિઝર્વ બેંકના ગવર્નરે ફરી એક વખત ઉચ્ચાર્યું કે ક્રીપ્ટોકરન્સી અર્થતંત્ર અને નાણા વ્યવસ્થા માટે જોખમી છે.

તા.18 નવેમ્બર : ભારત પોતાનું ડીજીટલ ચલણ પ્રાયોગિકધોરણે આવતા વર્ષે શરૂ કરશે તેવા સંકેતો.

માર્કેટ કેપમાં 30 અબજ  ડોલરનો ઘટાડો

બિટકોઈન ફરી ગબડી 59 હજાર ડોલરની અંદર ઉતર્યા  

મુંબઈ : ક્રિપ્ટો-કરન્સી બજારમાં આજે  બિટકોઈનના ભાવમાં ઉછાળા  ઉભરા જેવા  નિવડતાં  ભાવ ફરીગબડી  60 હજાર  ડોલરની સપાટી તોડી  એક તબક્કે   59 હજાર ડોલરની અંદર ઉતરી ગયા હતા. વૈશ્વિક  ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ  તથા વિશ્વની  વિવિધ સેન્ટ્રલ બેન્કો  વ્યાજ દર વધારવામાં  ઉતાવળ  નહિં કરે એવા  વહેતા થયેલા  સંકેતો વચ્ચે   ક્રિપ્ટો  કરન્સીમાં   ભાવ દબાણ  હેઠળ આવ્યા  હતા.   

બિટકોઈનના ભાવ આજે ઉંચામાં  60960થી  60961  ડોલર થયા પછી  નીચામાં ભાવ 58798થી 58799 થઈ  59005થી  59006 ડોલર રહ્યા હતા. ભાવ  તૂટતાં બિટકોઈનનું  માર્કેટ કેપ  આજે 1140 અબજથી  ઘટી  1110 અબજ  ડોલરના મથાળે  ઉતર્યું હતું.   ટ્રેડિંગ વોલ્યુમ  1.77 અબજ ડોલર  નોંધાયું હતું.  અમેરિકામાં  બેરોજગારીના દાવા 2 લાખ 69 હજારથી ઘટી  2 લાખ 68  હજાર આવ્યાના સમાચાર હતા.

દરમિયાન, મિડકેપ  ક્રિપ્ટો  કરન્સીમાં  આજે ઈથેરના ભાવ ઉંચામાં  4344થી 4345 ડોલર થયા પછી  નીચામાં ભાવ  4136થી  4137 થઈ 4142થી  4143  ડોલર રહ્યા હતા    ઈથેરમાં  ભાવ ઘટતાં  માર્કેટ કેપ  500 અબજ ડોલરથી  ઘટી આજે   486થી 487  અબજ ડોલર નોંધાયું હતું.   જ્યારે ટ્રેડિંગ  વોલ્યુમ   984થી 985   મિલીયન ડોલરનું  થયું  હતું. એક્સઆરપીના ભાવ ઘટી આજે  107 સેન્ટ બોલાઈ  રહ્યા હતા.   જ્યારે કારડનોના  ભાવ તૂટી   181 સેન્ટ રહ્યા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Cvi0sp
via IFTTT

ટિપ્પણીઓ નથી: