માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ, 12 શ્રદ્ધાળુઓના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ


- મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે

- ઘાયલોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાની રાહત રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી, 2022, શનિવાર

જમ્મુ કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ થવાના કારણે 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 13 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટના રાતે 2:45 કલાક આસપાસના સમયે બની હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના કહેવા પ્રમાણે પ્રાથમિક વિગતોમાં એવું સામે આવ્યું છે કે, કોઈ વાતને લઈ વિવાદ વકરતાં શ્રદ્ધાળુઓએ એકબીજાને ધક્કા માર્યા હતા અને ત્યાર બાદ ભાગદોડ મચી ગઈ હતી. 

કટરા હોસ્પિટલના બીએમઓ ડોક્ટર ગોપાલ દત્તે મૃતકઆંક અંગેની પૃષ્ટિ કરી હતી. હાલ ઘાયલોને સારવાર માટે નારાયણા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે જ્યારે પોલીસના કહેવા પ્રમાણે હવે સ્થિતિ કાબૂમાં છે. જાણવા મળ્યા મુજબ નવા વર્ષના પ્રસંગે શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને તે દરમિયાન અચાનક જ ભાગદોડ મચી ગઈ હતી.

એક અહેવાલ પ્રમાણે મૃતકો અને ઘાયલોનો આંકડો હજુ પણ ઉંચો જઈ શકે છે. મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરના 1-1 શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે અને અન્યની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3JzoR8M
via IFTTT

ટિપ્પણીઓ નથી: