દિલ્હીમાં 55 કલાકનો કર્ફ્યુ, સોમવાર સવાર સુધી રહેશે લાગુ, ટ્રેન-પ્લેનના મુસાફરોએ બતાવવા પડશે આ દસ્તાવેજ

- ઈમરજન્સીમાં જ લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે
નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી, 2022, શનિવાર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી સરકારે આ માટે પૂરતી વ્યવસ્થાનો દાવો પણ કર્યો છે. શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાતથી સોમવારે સવાર સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આ સમય દરમિયાન જો કોઈ ટ્રેન અથવા પ્લેનમાં મુસાફરી કરવા જઈ રહ્યુ હોય તો તેમની પાસે યાત્રા ટિકિટ હોવી આવશ્યક છે.
અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીમાં કર્ફ્યુ લાગુ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોરોના વાયરસના પ્રસારને રોકી શકાય. કર્ફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓમાં છૂટ આપવામાં આવી છે. 55 કલાક માટે લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આ અઠવાડિયે મંગળવારે વીકએન્ડ કર્ફ્યુની જાહેરાત કરી હતી.
બહાર નીકળતી વખતે બતાવવાનો રહેશે ઈ-પાસ
અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સીમાં જ લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે. બહાર નીકળનારાઓએ સરકાર દ્વારા જારી કરાયેલ ઈ-પાસ અથવા માન્ય ઓળખ કાર્ડ રજૂ કરવું પડશે. અધિકારીઓએ જણાવ્યું કે, બજારો, રસ્તાઓ, કોલોનીઝ અને બીજા સાર્વજનિક સ્થળો પર કડક દેખરેખ રહેશે અને જો જરૂર પડશે તો એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની સંખ્યા પણ વધારવામાં આવશે. જો કોઈને અગત્યના કામ માટે બહાર જવાનું હોય અને જો તે મુક્તિ આપવામાં આવેલ કેટેગરીમાં ન આવે તો તેણે દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલ ઈ-પાસ લેવો પડશે.
આ લોકો માન્ય ID બતાવીને મુસાફરી કરી શકશે
આ સિવાય ન્યાયાધીશો, ન્યાયિક અધિકારીઓ, અદાલતના કર્મચારીઓ, પત્રકારો અને વકીલોને પણ માન્ય ઓળખ પત્ર, સેવા ID કાર્ડ, ફોટો પ્રવેશ પાસ અને અદાલત પ્રશાસન દ્વારા જારી મંજૂરી પત્ર બતાવ્યા બાદ યાત્રા કરવાની પરવાનગી મળશે. બીજા અન્ય લોકોને છૂટ આપવામાં આવી છે તેમાં ખાનગી તબીબી કર્મચારીઓ જેમ કે ડોકટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિક્સ અને હોસ્પિટલો, નિદાન કેન્દ્રો, પરીક્ષણ પ્રયોગશાળાઓ, ક્લિનિક્સ, ફાર્મસીઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને માન્ય ઓળખ કાર્ડ બતાવવા પર તબીબી ઓક્સિજન સપ્લાયરો સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થયો છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને આંતર-રાજ્ય બસ ટર્મિનસથી આવતા અથવા જતા લોકોને માન્ય ટિકિટ બતાવવા પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
ડીડીએમએના સૂચન પર દિલ્હી મેટ્રોએ કર્યો ફેરફાર
દિલ્હી ડીડીએમએના સૂચન પર દિલ્હી મેટ્રો રેલ્વે કોર્પોરેશન (ડીએમઆરસી)એ વીકેન્ડ પર મેટ્રોના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. શનિવાર-રવિવારે મુસાફરોને બ્લુ અને યલો લાઈન પર 15 મિનિટ પછી મેટ્રો મળશે જ્યારે બાકીની તમામ લાઈન પર બંને મેટ્રો વચ્ચે 20 મિનિટનું અંતર રહેશે. અઠવાડિયાના બાકીના દિવસો એટલે કે સોમવારથી શુક્રવાર સુધી તમામ લાઈનો પર મેટ્રો 100 ટકા ક્ષમતા સાથે દોડશે. કર્ફ્યુના કારણે માત્ર ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ મેટ્રોમાં મુસાફરી કરી શકશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31CLBnn
via IFTTT
ટિપ્પણીઓ નથી: