દેશભરમાં કોરોનાનું વધતું જતું સંક્રમણ




દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. એક જ દિવસમાં કોરોનાના હજારો દર્દીઓ નોંધાયા હતા. મેટ્રો સિટીમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૭૫ ટકા કેસ ઓમિક્રોનના હતા. દિલ્હીમાં કુલ સંક્રમિતોમાંથી ૮૪ ટકાને ઓમિક્રોનને ચેપ લાગ્યો હતો. બીજી તરફ બાળકોનું વેક્સિનેશન શરૃ થઈ જતાં પેરેન્ટ્સે રાહતનો શ્વાસ લીધો હતો. એક જ દિવસમાં ૪૦ લાખ બાળકોને પ્રથમ ડોઝ મળ્યો હતો.
કોરોનાની ત્રીજી લહેરે દેશમાં દસ્તક દીધી છે. કોવિડ ટાસ્ક ફોર્સના વડા એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે દેશના મહાનગરોમાં કોરોનાના કુલ નોંધાયા છે, એમાંથી ૭૫ ટકાને ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ હોવાનું જણાયું હતું. ઓમિક્રોન દેશભરમાં ઝડપભેર પ્રસરી રહ્યો છે. મેટ્રોસિટીમાં સ્પષ્ટ રીતે ત્રીજી લહેર આવી ગઈ હોવાનું નિષ્ણાતોએ કહ્યું હતું. અગાઉથી ચેતવણી હતી કે જાન્યુઆરીથી ફેબુ્રઆરીમાં ત્રીજી લહેર દેશભરમાં તરખાટ મચાવશે. એ ચેતવણી પ્રમાણે જ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટ તીવ્ર ઝડપે ફેલાઈ રહ્યો છે. દિલ્હી સરકારે કહ્યું હતું એ પ્રમાણે કુલ કેસમાંથી ૮૪ ટકા દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા.
એન. કે અરોરાએ ઉમેર્યું હતું કે દેશમાં અન્ય વેરિઅન્ટની સરખામણીએ કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લાં ચાર-પાંચ દિવસના આંકડા પરથી દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક થઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ખાસ તો મહાનગરોમાં તેનું સંક્રમણ ખૂબ જ ઝડપી બન્યું છે. એક જ દિવસમાં ઓમિક્રોનના ૧૭૦૦ કેસ દર્જ થયા છે. દેશભરમાં કોરોનાના કેસમાં ૨૨ ટકાનો વધારો જોવા મળ્યો છે.
દેશમાં એક જ દિવસમાં નવા ૩૩૭૫૦ કેસ નોંધાયા હતા. એ સાથે જ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૩.૫ કરોડને પાર પહોંચી ગઈ છે. સરકારી આંકડાં પ્રમાણે સમગ્ર દેશમાં અત્યારે ૧,૪૫,૫૮૨ એક્ટિવ કેસ છે. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૨૩ દર્દીનાં મોત થયા હતા. એ સાથે જ કુલ મૃત્યુ આંક ૪,૮૧,૮૯૨એ પહોંચી ગયો હતો.
કેરળમાં એક જ દિવસમાં ૨૫૬૦, મુંબઈમાં ૮૦૮૨ અને દિલ્હીમાં ૪૦૯૯ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં નોંધાયેલા દર્દીમાંથી ૯૦ ટકા દર્દીને કોઈ જ લક્ષણો જણાયા ન હતા. એમાંથી ૭૧ દર્દીને ઓક્સિજન આપવાની જરૃર પડી હતી. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૫૧૦ કેસ નોંધાયા હતા.
બીજી તરફ દેશભરમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનું શરૃ થયું હતું. એક જ દિવસમાં દેશમાં ૪૦ લાખ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. બાળકોના વેક્સિનેશન પછી પેરેન્ટ્સે રાહતનો શ્વાસ લીધો હતો. એડવાન્સ રજિસ્ટ્રેશન ઓછું થયું હતું, પરંતુ તેની સામે આઠ ગણાં બાળકોનું વેક્સિનેશન થયું હતું. એક્સપાયર્ડ થઈ રહેલી વેક્સિન બાળકોને અપાશે કે કેમ તેવી ચિંતા-અટકળો પછી સરકારે સ્પષ્ટતા કરી હતી કે બાળકોને અપાઈ રહેલી વેક્સિન સુરક્ષિત છે અને એમાં કોઈ જ બાંધછોડ કરવામાં આવી નથી.
બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારના કાર્યક્રમમાં સાતના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ નાગરિકોના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઈન થવાની ભલામણ કરવામાં આવી હતી. બિહારના મુખ્યમંત્રીએ કોરોનાના કેસ વધ્યા પછી નિયંત્રણો લાદવાનો સંકેત આપ્યો હતો.
પ્રિયંકા ગાંધી-વાડ્રાના પરિવારના એક સભ્યને કોરોના થતાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આઈસોલેટ થઈ ગયાં હતાં. તેમણે ટ્વિટરમાં આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે છતાં સુરક્ષા માટે તેઓ આઈસોલેટ રહેશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3znWGVW
via IFTTT

ટિપ્પણીઓ નથી: