RSSના પ્રચારકનો મુકાબલો કરશે કોંગ્રેસ સેવાદળનું 'વિચારક', 'ડંડા'નો મુકાબલો 'ઝંડા'થી


- સેવાદળના સંસ્થાપક ડો. નારાયણ સુબ્બારાવ હાર્ડિકર અને RSSના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર બંને સહપાઠી હતા

જયપુર, તા. 20 એપ્રિલ 2022, બુધવાર

કોંગ્રેસ સેવાદળ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરતાં પણ 2 વર્ષ જુનૂં સંગઠન છે. જોકે બાદમાં બદલાતા સમય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) મજબૂત થતું ગયું અને કોંગ્રેસ સેવાદળ (Congress Seva Dal) નેપથ્યમાં જતું રહ્યું. 

કોંગ્રેસ સેવાદળ હવે ફરી એક વખત મુખ્ય પ્રવાહમાં પરત ફરશે અને RSSનો મુકાબલો કરશે. કોંગ્રેસ પાર્ટી પોતાના આ આગલી હરોળના પાયદળ (હરાવલ ટુકડી)ને ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર કરવામાં લાગી છે. કોંગ્રેસ સેવાદળનો એક સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે પરંતુ બદલાતા સમય સાથે સેવાદળ પાસે ફક્ત પાર્ટીના કાર્યક્રમોમાં અનુશાસન જાળવવાની જવાબદારી જ રહી ગઈ. હવે પાર્ટી આ સંગઠનનું ગૌરવ ફરી પાછું લાવવાની કવાયત કરી રહી છે. 

કોંગ્રેસ સેવાદળ પોતાના અનુશાસન અને જુસ્સાને લઈ પ્રખ્યાત છે. સેવાદળના સંસ્થાપક ડો. નારાયણ સુબ્બારાવ હાર્ડિકર અને RSSના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર બંને સહપાઠી હતા. હાર્ડિકરે 8 ડિસેમ્બર 1923ના રોજ હિન્દુસ્તાની સેવાદળના નામથી સેવાદળની રચના કરી હતી. જ્યારે હેડગેવારે 27 સપ્ટેમ્બર 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. આઝાદીની લડાઈમાં સેવાદળે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. 1947માં તેનું નામ હિન્દુસ્તાની સેવાદળમાંથી બદલીને કોંગ્રેસ સેવાદળ કરી દેવામાં આવ્યું હતું. પંડિત જવાહરલાલ નેહરૂ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલના સપનાંઓનું સંગઠન ગણાય છે. 

ડંડાનો મુકાબલો ઝંડાથી

હાલ દેશમાં RSSનો રાષ્ટ્રવાદનો એજન્ડા હાવી થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસને ફરી સેવાદળના જુસ્સાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. કોંગ્રેસ સેવાદળ પણ તેને આઝાદીની બીજી લડાઈ ઠેરવી રહ્યું છે. સેવાદળ પ્રદેશાધ્યક્ષ હેમસિંહ શેખાવતના કહેવા પ્રમાણે ડંડાનો મુકાબલો ઝંડાથી અને પ્રચારકનો મુકાબલો વિચારકથી કરવામાં આવશે. હવે એ જોવાનું રહ્યું કે, લાંબા સમય સુધી નેપથ્યમાં રહેલું સેવાદળ પોતાને કેટલું મજબૂત કરીને RSSનો મુકાબલો કરી શકે છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jo0KltJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: