શિવસેના-બળવાખોરો વચ્ચે હવે કાનૂની દાવપેચ


ઉદ્ધવે સંગઠનનો સાથ ચકાસવા આજે રાષ્ટ્રીય કારોબારી બોલાવી 

16 બળવાખોરોને ગેરલાયક ઠેરવવા નોટિસઃ ડેપ્યુટી સ્પીકરની જ હકાલપટ્ટી કરાવવા શિંદે ગૂ્રપનો વ્યૂહઃ ઉદ્ધવ અને પવાર વચ્ચે બેઠકઃ રસ્તા પર ઉતરવાની રાઉતની ચિમકી 

મુંબઈ :  મુંબઈના રાજકીય સંકટમાં હવે શિવસેના તથા બળવાખોરો વચ્ચે કાનૂની જંગના મંડાણ થયાં છે. શિવસેનાએ પક્ષની બેઠકમાં ગેરહાજર રહી વ્હીપનો અનાદર કરનારા ૧૬ બળવાખોરોને બરતરફ કરાવવા કાર્યવાહી શરુ કરી છે. જોકે, શિંદે ગૂ્રપે આ કાર્યવાહીને હસી કાઢતાં કહ્યું છે કે લઘુમતી જૂથ બહુમતી જૂથ સામે કોઈ કાર્યવાહી કરી શકે નહીં. આઘાડીમાંથી નીકળી જવાની શિવસેનાની ઓફરના બીજા દિવસે શરદ પવાર સહિત એનસીપીના ટોચના નેતાઓએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક યોજી હતી. ં શિવસેનાએ પોતે તમામ કાનૂની પગલાં અપનાવવા ઉપરાંત રસ્તા પર ઉતરવા પણ તૈયાર હોવાની ચિમકી બળવાખોરોને આપી છે. 

મહારાષ્ટ્રની રાજકીય  ગતિવિધિઓમાં શિંદે જૂથે પોતાની પાસે ૫૦થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનું દેખાડી દીધા બાદ શિવસેનાએ તેમની છાવણીમાંથી કેટલાક બળવાખોરોને પરત લાવવા કાનૂની કાર્યવાહી શરુ કરી છે. શિવસેના વતી વિધાનસભાના ડેપ્યૂટી સ્પીકરને દરખાસ્ત કરવામાં આવી હતી કે પક્ષના ૧૬ ધારાસભ્યોએ પાર્ટી વ્હીપનો અનાદર કર્યો છે આથી તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે. 

આ કાર્યવાહીમાં તમામ બળવાખોરોને બદલે અડધા જ ધારાસભ્યોને સમાવીને શિવસેનાએ બાકીના બળવાખોરો માટે પક્ષમાં પાછા ફરવાનો રસ્તો ઓપન રાખ્યો હોવાનું માનવામાં આવે છે. આ કાર્યવાહી બાબતે લીગલ અભિપ્રાય મેળવવા તથા બળવાખોરોના પગલાં સામે કાનૂની બચાવ વિચારવા માટે રાજ્યના એડવોકેટ જનરલ આશુતોશ કુંભકોણેને વિધાનસભા સેક્રેટરિએટમાં બોલાવાવમાં આવ્યા હતા. 

જોકે, શિંદે જૂથે વળતા હુમલા તરીકે કહ્યું હતું કે શિવસેનાના બહુમતી ધારાસભ્યો અમારી સાથે છે. ઉદ્ધવ પાસે ૧૨ ધારાસભ્યો જ છે. આ સંજોગોમાં લઘુમતી જૂથ અમારી સામે કોઈ કાર્યવાહી કરી શકે નહીં. ડેપ્યુટી સ્પીકર પણ તે જૂથના દંડકની અરજીને સ્વીકારી શકે નહીં કે તેની સામે કાર્યવાહી કરી શકે નહીં. આવી સંભવિત કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી પણ શિંદે જૂથે આદરી લીધી છે. 

બીજી તરફ તેને સમાંતર શિંદે જૂથે ખુદ ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલની હકાલપટ્ટી માટે જ હિલચાલ શરુ કરી છે. બળવાખોરો આ મુદ્દે પ્રસ્તાવ લાવવાના હોવાનું જાણવા મળ્યું છે. 

સાથે સાથે આજે રાજકીય બેઠકોનો ધમધમાટ પણ ચાલુ રહ્યો હતો. એનસીપીના શરદ પવાર, જયંત પવાર, અજીત પવાર તથા પ્રફુલ્લ પટેલ સહિતના નેતાઓએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક યોજી હતી. તેમાં તેમણે આઘાડીમાંથી નીકળી જવાની સંજય રાઉતની ઓફર વિશે કોઈ ચોખવટ માગી હોવાનું માનવામાં આવે છે. જોકે, એનસીપી સતત એવો દેખાવ કરી રહી છે કે તે સરકાર બચાવવામાં શિવસેનાનો પૂરેપૂરો સાથ આપી રહી છે. 

શિવસેનાએ પક્ષીય રીતે લડાઈ લડી લેવાની પણ તૈયારી કરી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ વિભાગ પ્રમુખો સાથે બેઠક યોજી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષા બંગલો ભલે મેં છોડી દીધો હોય પરંતુ મારો નિર્ધાર મેં છોડયો નથી. 

શિવસેનાએ તેની રાષ્ટ્રીય કારોબારી આવતીકાલે બોલાવી છે. ે તેમાં કેટલા નેતાઓ હાજર રહે છે તેના પરથી સંગઠન પર હજુ ઉદ્ધવ ઠાકરેનો કેટલો કાબૂ છે તે નક્કી થશે. 

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે એવી ચિમકી આપી હતી કે અમે તમામ કાનૂની વિકલ્પો તો અજમાવી જ રહ્યા છીએ પરંતુ સાથે સાથે રસ્તા પર ઉતરી આવવાની પણ અમારી પૂરેપૂરી તૈેયારી છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZeXub9f
via IFTTT

ટિપ્પણીઓ નથી: