કુતુબ મિનારમાં દેવતાઓની મૂર્તિ સ્થાપવા, પૂજા કરવાની છૂટ આપો

- દિલ્હીની કોર્ટમાં કુતુબ મિનારની જમીનની માલિકીનો દાવો
- કુતુબ મિનાર પર ભારત સરકારનો હક, કોઇને પણ મૂર્તિ સ્થાપવા કે જમીન પર દાવો કરવાનો અધિકાર નહીં : એએસઆઇ
- 1913માં કુતુબ મિનારને ઐતિહાસિક ઇમારતોમાં સામેલ કરાયા પછી કોઇએ માલિકીનો દાવો નથી કર્યો
નવી દિલ્હી : ઐતિહાસિક કુતુબ મીનારના પરિસરમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરવાની અને પૂજા કરવાની છૂટ આપવામાં આવે તેવી માગણી કરતી એક અરજી દિલ્હીની સાકેત કોર્ટમાં કરવામાં આવી છે. જોકે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ આ દાવાનો વિરોધ કર્યો છે. અને કહ્યું છે કે આ પ્રકારના દાવાનો કોઇ જ કાયદેસર આધાર નથી, ના આવા કોઇ પુરાવા ઉપસ્થિત છે. માટે તેનો કોર્ટ દ્વારા સ્વિકાર કરવામાં ન આવે.
એએસઆઇએ કોર્ટમાં રજુ કરેલા પોતાના જવાબમાં કહ્યું છે કે મહેન્દ્ર ધ્વજ પ્રતાપ દ્વારા જે માગણી કરવામાં આવી છે તેમાં કુતુબ મિનારની જમીન પર પોતાની માલિકીનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ જગ્યા ભારત સરકાર હસ્તકની છે અને ૧૯૪૭ પછી કોઇ પણ કોર્ટમાં આ જમીન પર હક મેળવવા માટે કોઇ પણ પ્રકારની અરજી નથી કરવામાં આવી. આટલા વર્ષો પછી આ જમીન પર માલિકીનો દાવો કરતી અરજી કેમ કરવામાં આવી?
એએસઆઇએ પોતાના જવાબમાં કહ્યું છે કે વર્ષ ૧૯૧૩માં જ્યારે કુતુબ મીનારને એએસઆઇ દ્વારા સંરક્ષિત અન્ય સ્થળોની જેમ પોતાની યાદીમાં સામેલ કરવામાં આવી ત્યારે બધા જ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. તે સમય પછી અત્યાર સુધીમાં કોઇએ પણ કુતુબ મિનારની જમીન પર પોતાના માલિકીના હકનો દાવો નથી કર્યો.
એટલે કે વર્ષ ૧૯૧૩થી વર્ષ ૨૦૨૨ સુધી કોઇએ પણ આ જમીન પર પોતાનો દાવો નથી કર્યો. માલિકી હકની અપીલ કરવા માટે સમય મર્યાદાનો જે સિદ્ધાંત છે તે પણ લાગુ પડે છે. આ સાથે જ એએસઆઇએ અરજીને રદ કરવા માટે પણ કોર્ટને અપીલ કરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/e0VFKA6
via IFTTT
ટિપ્પણીઓ નથી: