પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા જમા કર્યા


- ગુજરાતમાં ચૂંટણી અને દિવાળીના માહોલ વચ્ચે કેન્દ્રની જાહેરાત

- દિલ્હીમાં મોદીની ઉપસ્થિતિમાં ખેડૂતોનું સન્માન કરવા માટે કાર્યક્રમ શરૂ કરાયો, 13 હજાર ખેડૂતોને આમંત્રણ

નવી દિલ્હી : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને દિવાળી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં ૧૬૦૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ પ્રત્યેક ખેડૂતના બેંક ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરવામાં આવે છે જેમાં દરેક ચાર મહિને બે હજાર રૂપિયા જમા કરાવવામાં આવે છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પીએમ-કિસાન યોજનાને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન સમ્માન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઇ પણ વચેટિયાઓ વગર ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે. હાલ પીએમ કિસાન યોજનાનો આ ૧૨મો ઇન્સ્ટોલમેન્ટ છે. જેની કુલ રકમ આશરે ૧૬૦૦૦ કરોડ રૂપિયા છે. આ ૧૨મા ઇન્સ્ટોલમેન્ટનો લાભ ૧૧ કરોડ ખેડૂતોને મળવાની શક્યતાઓ છે. 

જ્યારે અત્યાર સુધી ખેડૂતોને આપેલી કુલ સહાયની રકમનો આંકડો ૨.૧૬ લાખ કરોડને પાર પહોંચી શકે છે.  જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે જ્યારથી આ પીએમ કિસાન યોજના લોન્ચ કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધી કુલ બે લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં દેશભરમાંથી ૧૩૫૦૦ ખેડૂતોને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DjI5f2b
via IFTTT

ટિપ્પણીઓ નથી: