જામનગર જિલ્લામાં ત્રિપાંખિયા જંગમાં 15 પૈકી 12 ઉમેદવારો કરોડપતિ

- ભાજપ, કોંગ્રેસ, આપનાં ૧૫ ઉમેદવારો પૈકી બે નોન-મેટ્રિક : માત્ર બે ઉમેદવારો સામે ૧-૧ કેસ અને બે પાસે હથિયારના લાયસન્સ

 જામનગર

જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારની બેઠક આ વખતે ખૂબ જ હાઇ પ્રોફાઈલ બની રહી છે, અને તેમાંય ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ અપાઇ છે, ત્યારે તેઓએ ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં સોગંદનામામાં પોતાના નામે ૬૨ લાખની સંપત્તિ, જ્યારે તેમના પતિની ૭૦ કરોડની સંપત્તિ દર્શાવી છે.

રીવાબા જાડેજા દ્વારા પોતાની હાથની રોકડ રકમ,સોનું, ઝવેરાત, વગેરેની કુલ સંપત્તિનો આંકડો ૬૨ લાખનો દર્શાવાય છે, જ્યારે તેમના પતિ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કે જેઓની બેંકની ડિપોઝીટ, જમીન સ્થાવર જંગમ મિલ્કત સહિત નો સરવાળો ૭૦ કરોડથી વધુ થવા જાય છે. જામનગર જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠક પર મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિકોણીયો જંગ છે, ત્યારે પાંચેય બેઠકના ત્રણેય ઉમેદવારો મળીને ૧૫ પૈકી બાર ઉમેદવારો કરોડપતિ છે, જેમાં સૌથી વધુ સંપત્તિ ૭૦ કરોડ ૬૨ લાખની રિવાબા જાડેજાની છે.

આ ઉપરાંત કાલાવડ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ મુસડીયા, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશભાઈ સોલંકી, તેમજ જામનગર દક્ષિણની બેઠકના આપના ઉમેદવાર વિશાલ ત્યાગી, કે જેઓ લખપતિ છે.

જામનગર જિલ્લાના પાંચેય બેઠકના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત બાબતે જોવામાં આવે તો જામનગર જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપ એ શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં પાંચ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવાર સ્નાતક કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે, અને એક ઉમેદવાર અંડર ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. કોંગ્રેસના પાંચ ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારો સ્નાતક કે તેથી વધુનો અભ્યાસ કર્યો છે. જેમાં એક ઉમેદવારે માત્ર નવ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.

આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો બે ઉમેદવારે સ્નાતકથી વધુનો અભ્યાસ કર્યો છે. જેમાં એક તબીબી અને એક વકીલનો પણ સમાવેશ થાય છે. જયારે અન્ય ત્રણ ઉમેદવારોમાં એક ઉમેદવારે માત્ર ધોરણ સાત પાસ કર્યું છે. એક ઉમેદવાર ધોરણ ૧૨ પાસ અને અન્ય એક ઉમેદવારે ધોરણ ૧૧ સુધીનો અભ્યાસ કર્યો છે.

જામનગરની પાંચેય બેઠક પર ત્રણ મુખ્ય રાજકીય પાર્ટીના ૧૫ ઉમેદવારો પૈકી ૧૩ ઉમેદવારો સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. એટલે કે તેમની સામે કોઈપણ પ્રકારના કેસ નોંધાયા નથી. પરંતુ જામનગર ગ્રામ્યની બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ અને કોંગ્રેસના જીવણભાઈ  કુંભારવાડીયા બંને સામે એક એક ફોજદારી કેસ હોવાનું દર્શાવાયું છે. ૧૫ ઉમેદવારો પૈકી બે ઉમેદવાર પાસે હથિયાર વાળું લાયસન્સ હોવાનું પણ દર્શાવાયું છે. જેમાં જામનગર ઉત્તર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજા, અને જામનગર ગ્રામ્ય ની બેઠકના ઉમેદવાર જીવણભાઈ કુંભારવાડીયા પાસે લાયસન્સ વાળા હથિયારો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BISzELa
via IFTTT

ટિપ્પણીઓ નથી: