એક જ શરત પર પાછા પડશે ખેડૂતો, જ્યારે ત્રણેય કાયદા થશે રદ્દઃ રાકેશ ટિકૈત


- કોરોના કાળમાં કાયદો બની શકે તો રદ્દ શા માટે ન થઈ શકેઃ રાકેશ ટિકૈત

નવી દિલ્હી, તા. 30 મે, 2021, રવિવાર

એક તરફ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ દિલ્હી બોર્ડર પર ખેડૂતો છેલ્લા 6 મહિનાથી ધરણા પર બેઠેલા છે. ન સરકાર પાછી હટવા તૈયાર છે ન ખેડૂતો પીછેહટ કરી રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ ફરી એક વખત કહી દીધું છે કે જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા પાછા નહીં લેવાય ત્યાં સુધી ખેડૂતો દિલ્હી સરહદેથી હટશે નહીં અને ઘરે પાછા નહીં જાય. 

રાકેશ ટિકૈતે ટ્વીટમાં લખ્યું હતું કે, 'ખેડૂતો દિલ્હીની સરહદને છોડવાના નથી, ખેડૂતો એક જ શરતે પાછા ફરશે, ત્રણેય કાયદા રદ્દ કરી દો અને એમએસપી પર કાયદો બનાવી દો.'

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, 'આ આંદોલનમાં દેશભરના ખેડૂતો એકજૂટ છે, દવાઓની જેમ અનાજનું કાળાબજાર નહીં થવા દઈએ.'

તેમણે સરકારને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવી દેશે. તેમણે કહ્યું હતું કે, 'દેશભરમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર, ક્યાંય કોઈ પણ ખેડૂત સામે કેસ નોંધાશે તો આંદોલનને દેશવ્યાપી ધાર આપવામાં આવશે.' 

અગાઉ તેમણે કહ્યું હતું કે, 'આંદોલન જ્યાં સુધી કરવું પડે, આંદોલન માટે તૈયાર રહેવાનું છે, આ આંદોલનને પણ આપણા પાકની જેમ સીંચવાનું છે, સમય લાગશે. હિંસાનો સહારો લીધા વગર જ લડતા રહેવાનું છે. રોટી તિજોરીની વસ્તુ ન બને તે માટે ખેડૂતો 6 મહિનાથી રસ્તા પર પડ્યા છે, અમે ભૂખનો વેપાર નહીં થવા દઈએ અને આંદોલનનું કારણ પણ આ જ છે. આંદોલન લાંબુ ચાલશે, કોરોના કાળમાં કાયદો બની શકે છે તો રદ્દ શા માટે ન થઈ શકે.'




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34vguYB
via IFTTT

ટિપ્પણીઓ નથી: