પાકિસ્તાન સહિત આ દેશોથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, MHAએ માંગી અરજી


- આ શરણાર્થીઓ ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓમાં વસી રહ્યા છે

નવી દિલ્હી, તા. 29 મે, 2021, શનિવાર

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રએ દેશના 13 જિલ્લાઓમાં રહેતા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવા તેમની અરજી માંગી છે. 

આ શરણાર્થીઓ ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓમાં આશરો લઈ રહ્યા છે. તેમનો ધર્મ હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ વગેરે છે. શુક્રવારે તેમના પાસેથી ભારતીય નાગરિકતા માટેની અરજી માંગવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા કાયદો 1955 અને 2009માં કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો અનુસાર આદેશના તાત્કાલિક અમલીકરણ માટે આ પ્રકારના આશયની સૂચના જાહેર કરી હતી. જો કે સરકારે 2019માં લાગુ સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) અંતર્ગત નિયમોને હજુ તૈયાર નથી કર્યા. 

CAAને લઈ થયા હતા તોફાન

વર્ષ 2019માં જ્યારે સીએએ લાગુ થયો ત્યારે દેશના વિવિધ હિસ્સાઓમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયું હતું અને આ વિરોધ પ્રદર્શનો વચ્ચે 2020ની શરૂઆતમાં દિલ્હીમાં રમખાણ પણ થયા હતા. 

કયા શરણાર્થીઓને મળશે નાગરિકતા?

નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પ્રમાણે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં દમનનો શિકાર એવા અલ્પસંખ્યકો બિનમુસ્લિમોને નાગરિકતા પ્રદાન કરવામાં આવશે જેઓ 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત આવી ગયા હતા.

 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vB6wAT
via IFTTT

ટિપ્પણીઓ નથી: