ટોક્યો 2020: કોવિડનું જોખમ, ઓપનિંગ સેરેમનીમાં ઉતરશે ઓછામાં ઓછા ભારતીય ખેલાડીઓ

- સમારંભના પછીના દિવસે પ્રતિયોગિતા હોય તે ખેલાડીઓને સમારંભમાં ભાગ લેવાના બદલે રમત પર ધ્યાન આપવા અને આરામ કરવાની સલાહ આપવામાં આવી
નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર
કોવિડ-19ના જોખમને ધ્યાનમાં રાખીને શુક્રવારે યોજાનારા ઓલમ્પિક રમતના ઉદ્ઘાટન સમારંભમાં શક્ય તેટલા ઓછા ભારતીય ખેલાડીઓની ભાગીદારી રાખવામાં આવશે. ટીમમાંથી ફક્ત 6 અધિકારીઓને જ તેમાં સહભાગી બનવાની સ્વીકૃતિ મળી છે. જે ખેલાડીઓને આગામી દિવસે પ્રતિયોગિતામાં હિસ્સો લેવાનો છે તેમને ઉદ્ઘાટન સમારંભમાં સામેલ ન થવાની સલાહ આપવામાં આવી છે.
રમતમાં ભારતના 120 કરતા વધારે ખેલાડીઓ હિસ્સો લઈ રહ્યા છે જ્યારે ભારતીય ટીમમાં અધિકારીઓ, કોચ અને અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ 228 સદસ્યોનો સમાવેશ થાય છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ જણાવ્યું કે, સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને ઉદ્ઘાટન સમારંભમાં નહીં રાખવામાં આવે.
મેહતાએ જણાવ્યું કે, 'અમે શક્ય તેટલા ઓછા ખેલાડીઓને ઉતારવા પ્રયત્ન કરીશું. ઉદ્ઘાટન સમારંભમાં ખૂબ ઓછા ખેલાડીઓને ઉતારવામાં આવશે. દળ પ્રમુખ અને ઉપ દળ પ્રમુખ ગુરૂવારે ખેલાડીઓની સંખ્યા અંગે નિર્ણય લેશે. પરંતુ અમારી સલાહ છે કે આ મહત્વપૂર્ણ સમયમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછા ખેલાડીઓએ આ સમારંભમાં ભાગ લેવો જોઈએ.'
ઉદ્ઘાટન સમારંભના પછીના દિવસે નિશાનેબાજો, મુક્કાબાજો, તીરંદાજો ઉપરાંત પુરૂષ અને મહિલા હોકી ટીમોની પ્રતિસ્પર્ધા છે. સમારંભ અડધી રાત સુધી ચાલશે તેવી ગણતરી છે જેથી સમારંભના પછીના દિવસે પ્રતિયોગિતા હોય તે ખેલાડીઓને સમારંભમાં ભાગ લેવાના બદલે રમત પર ધ્યાન આપવા અને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rpuLRn
via IFTTT
ટિપ્પણીઓ નથી: