ભારતમાં વેપાર કરવો અઘરો : અમેરિકા

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા.૨૨
દુનિયામાં વેપાર કરવા માટે ભારત હજી પણ પડકારજનક સ્થળ છે તેમ અમેરિકાએ જણાવ્યું હતું. સાથે અમેરિકાએ રોકાણ માટેના અવરોધો દૂર કરવા અને અમલદારોની લાલફીતાશાહીના નિયંત્રણો હટાવી આકર્ષક અને વિશ્વસનીય રોકાણ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે ભારતને આગ્રહ કર્યો છે. અમેરિકન વિદેશ વિભાગે બુધવારે '૨૦૨૧ ઈન્વેસ્ટમેન્ટ ક્લાઈમેટ સ્ટેટમેન્ટ્સ ઃ ઈન્ડિયા' રિપોર્ટમાં કહ્યું કે ભારત વેપાર કરવા માટે એક પડકારજનક સ્થળ છે. આ રિપોર્ટમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિશેષ બંધારણીય સ્થિતિને હટાવવા અને નાગરિક્તા સુધારા કાયદા (સીએએ)નો પણ ઉલ્લેખ કરાયો છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, નવા સંરક્ષણવાદી ઉપાય, જેમાં ટેરીફમાં વધારો, ખરીદ નિયમોનો સમાવેશ થાય છે, તે પ્રતિસ્પર્ધાના વિકલ્પોને મર્યાદિત કરે છે અને તે સેનેટરી તથા ફાઈટોસેનેટરી માપદંડ વિજ્ઞાાન પર આધારિત નથી. ભારતીય વિશિષ માપદંડો પણ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૃપ નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં વૈશ્વિક પૂરવઠા શ્રેણીથી ઉત્પાદકોને અસરકારક રીતે બંધ કરી દેવાયા છે અને દ્વિપક્ષીય વેપારના વિસ્તારને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે.
અમેરિકન વિદેશ વિભાગે તેના રિપોર્ટમાં કહ્યું છે કે એનડીએ સરકારના બીજા કાર્યકાળના પહેલા ૧૦૦ દિવસમાં બે 'વિવાદાસ્પદ' નિર્ણયો લેવાયા હતા. રિપોર્ટેમાં કહેવાયું છે કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ બંધારણીય દરજ્જો હટાવવો અને સીએએ પાસ કરવાના બે નિર્ણયોથી દેશ-વિદેશમાં ભારે હોબાળો મચ્યો હતો. ભારતનું કહેવું છે કે સીએએ તેની 'આંતરિક બાબત' છે અને 'કોઈ પણ વિદેશી પક્ષને ભારતની સંપ્રભુતા સંબંધિત મુદ્દાઓ પર દખલ કરવાનો કોઈ અધિકાર નથી.'
ભારતે આંતરરાષ્ટ્રીય સમાજને સ્પષ્ટપણે કહી દીધું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને રદ કરવાની બાબત સંપૂર્ણપણે દેશની આંતરિક બાબક છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે સીએએના અમલને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, પરંતુ માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારી અને આકરા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે આ દેખાવોનો અંત આવ્યો હતો. વર્ષ ૨૦૨૦માં ભારતમાં કોરોના સામેની કામગીરી સૌથી મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. કોરોના મહામારી તેમજ લૉકડાઉનના કારણે ભારતની આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડો આવ્યો હતો અને ડિસેમ્બર ૨૦૨૦ પછી સકારાત્મક વૃદ્ધિના સંકેતો સાથે ધીમી ગતિએ આર્થિક પ્રવૃત્તિઓ શરૃ થઈ હતી. ભાજપ નેતૃત્વની સરકારે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કેસમાં નોંધપાત્ર વધારાના કારણે આકરી ટીકાઓનો સામનો કરવો પડયો હતો.
અમેરિકાએ જણાવ્યું કે કોરોના મહામારી અને રાષ્ટ્રીય લૉકડાઉનના કારણે સર્જાયેલા આર્થિક પડકારોનો સામનો કરવા માટે ભારતે વિશેષ સામાજિક કલ્યાણ અને આર્થિક રાહત કાર્યક્રમો હાથ ધર્યા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જાહેર સ્વાસ્થ્ય પરનો ખર્ચ વધાર્યો છે. સરકારે ફાર્માસ્યુટીકલ્સ, ઓટોમોબાઈલ્સ, ટેક્સટાઈલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય સેક્ટર્સને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદન સાથે સંકળાયેલ ઈન્સેન્ટિવની નીતિ અપનાવી છે. કેન્દ્ર સરકારના આ પગલાઓએ એપ્રિલ ૨૦૨૦ અને માર્ચ ૨૦૨૧ વચ્ચે જીડીપીમાં અંદાજે આઠ ટકાના ઘટાડામાંથી ભારતીય અર્થતંત્રને બેઠું કરવામાં ઘણી મદદ કરી છે. પરીણામે જાન્યુઆરી ૨૦૨૧માં ભારત પોઝિટિવ ગ્રોથ તરફ પાછું ફર્યું હતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BzkXbU
via IFTTT
ટિપ્પણીઓ નથી: