કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટરમાં પાકિસ્તાની સહિત પાંચ આતંકી ઠાર

શ્રીનગર, તા.૨
કેન્દ્ર સરકારે નવા સિમાંકન પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવા માટે આઠ સ્થાનિક પક્ષોના ૧૪ નેતાઓ સાથે બેઠક યોજ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં અચાનક જ આતંકીઓએ માથું ઊંચક્યું છે અને એક પછી એક આતંકી ઘટનાઓ બની રહી છે. કાશ્મીરના પુલવામા ખાતે શુક્રવારે એક અથડામણમાં સલામતી દળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. અગાઉ ગયા સપ્તાહે સતત ત્રણ દિવસ સુધી મોડી રાતે પાકિસ્તાની ડ્રોને ભારતમાં ઘૂસણખોરી કરી હતી, જેમાંથી બેને એલર્ટ જવાનોએ નિષ્ફળ બનાવી હતી.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શુક્રવારે સલામતી દળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તોયબાના જિલ્લા કમાન્ડર સહિત પાંચ આતંકીઓ ઠાર થયા હતા જ્યારે એક જવાન શહીદ થયો હતો. આતંકીઓની હાજરીની માહિતી મળતાં સલામતી દળોએ પુલવામાના રાજપોરા વિસ્તારના હાનજિન ગામને ઘેરીને તપાસ હાથ ધરી હતી. જોકે, આતંકીઓએ સલામતી દળો પર ખુલ્લો ગોળીબાર કરતાં દળોએ પણ વળતો જવાબ આપ્યો હતો. આતંકીઓના પ્રારંભિક ગોળીબારમાં એક જવાનને ઈજા પહોંચી હતી અને તેનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
જોકે, આતંકીઓના ગોળીબારને પગલે વધુ જવાનોને ઘટના સ્થળે રવાના કરાયા હતા. આ અથડામણમાં પાંચ આતંકીઓ ઠાર થયા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર-એ-તોયબાના જિલ્લા કમાન્ડર નિશાઝ લોન ઉર્ફે ખિતાબનો પણ સમાવેશ થાય છે તેમ કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાં તે એક જ પાકિસ્તાની હતો. બાકીનાની ઓળખ થઈ રહી છે.
દરમિયાન સરહદ સલામતી દળ (બીએસએફ)ને જમ્મુમાં અર્નિયા સેક્ટરમાં વહેલી સવારે ૪.૨૫ વાગ્યે એક ડ્રોન દેખાયું હતું. બીએસએફ જવાનોએ ડ્રોન પર ગોળીબાર કરતાં તે પાકિસ્તાની સરહદમાં પાછું ફરી ગયું હતું તેમ બીએસએફના પ્રવક્તાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અર્નિયા સેક્ટરમાં જોવા મળેલું ડ્રોન આ વિસ્તારમાં જાસૂસી માટે આવ્યું હતું. પરંતુ બીએસએફના એલર્ટ જવાનોએ તેના પર ગોળીબાર કરતાં તે પાછું ફરી ગયું હતું. ગયા સપ્તાહે જમ્મુ એરપોર્ટમાં એરફોર્સના સ્ટેશન પર ડ્રોન હુમલા તેમજ સતત ત્રણ દિવસ સુધી રાતના સમયે ભારતીય સૈન્ય સ્થળો પર પાકિસ્તાની ડ્રોન જોવા મળી રહ્યા હોવાથી જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળો હાઈ એલર્ટ પર છે.
બીજીબાજુ ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ પરિસરમાં ગયા સપ્તાહે એક ડ્રોન જાસૂસી કરવા માટે ઘૂસી આવ્યું હતું. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આ ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે અને ભવિષ્યમાં 'સલામતી ભંગ'ની આવી ઘટના ન થાય તેની તકેદારી રાખવા ચેતવણી આપી છે. ભારતીય દૂતાવાસે પણ આ ઘટના સંદર્ભે પાકિસ્તાનની તંત્રને ફરિયાદ નોંધાવી છે. ડ્રોને ભારતીય દૂતાવાસમાં ચાલતી એક ઈવેન્ટની જાસૂસી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસમાં ૨૬મી જૂને એક ડ્રોન દેખાયું હતું. પાકિસ્તાન સરકાર સમક્ષ સત્તાવાર રીતે આ મુદ્દો ઉઠાવાયો છે. અમને અપેક્ષા છે કે પાકિસ્તાન આ બાબતની તપાસ કરશે અને સલામતી ભંગની આવી ઘટના ફરી ન થાય તેની તકેદારી રાખશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wdDiHK
via IFTTT
ટિપ્પણીઓ નથી: