દેશમાં પીગાસસ જાસૂસી મુદ્દે વિપક્ષનો હોબાળો, સંસદ ઠપ

રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, બે મંત્રીઓના ફોન ટેપ થયા હતા
કોંગ્રેસ, અકાળી દળ, બસપા સહિતના પક્ષોએ ખેડૂતોનું આંદોલન, ફોન ટેપિંગ, મોંઘવારી મુદ્દે હંગામો મચાવતા બે કલાક સંસદ ઠપ
પાંચ વખત મોબાઇલ બદલ્યો છતા હેકિંગ થાય છે : પ્રશાંત કિશોર હેકિંગ અને ફોન ટેપિંગમાં અમારો કોઇ હાથ નથી : સરકાર
ફોન ટેપિંગ મુદ્દો ભારતને બદનામ કરવા ઉછાળાયો : અમિત શાહ ફોન ટેપિંગથી જાસૂસી બદલ ગૃહમંત્રી રાજીનામુ આપે : કોંગ્રેસ
નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અનેક નેતાઓના ફોન ટેપિંગનો વિવાદ સંસદમાં પહોંચ્યો હતો. સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે ફોન ટેપિંગ મામલે હોબાળો મચાવ્યો હતો અને ગૃહ મંત્રીના રાજીનામાની પણ માગણી કરી હતી. રિપોર્ટ મુજબ ઇઝરાયેલની કંપની એનએસઓના પીગાસસ સોફ્ટવેરથી આ ફોન ટેપિંગ થયું હતું જેમાં 300 લોકોના નંબરોનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઇઝરાયેલી સોફ્ટવેર પીગાસસ દ્વારા ફોન ટેપિંગ થયાનો ખુલાસો થયો છે. આ લિસ્ટમાં રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. એનએસઓની યાદીમાં જે 300 ભારતીયોના નંબરોનું ટેપિંગ કરાયું છે તેમાં રાહુલ, પ્રશાંત કિશોર ઉપરાંત આઇટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ, જ્યારે અન્ય નેતાઓમાં રાજસૃથાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પીએસના નંબરોનો પણ સમાવેશ થાય છે.
એટલુ જ નહીં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, ઓએસડી સંજય કાચરૂ સહિત 300 ભારતીયોનો સમાવેશ થાય છે. વિશ્વ હિંદૂ પરીષદના પ્રવિણ તોગડિયાનો નંબર પણ આ સ્પાઇવેર દ્વારા ટેપ કરાયો હતો. અન્ય લોકોમાં અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના ફાઉંડર જગદીપ છોખરે, દેશના ટોપ વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગ, સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પર આરોપો લગાવનારી મહિલા પણ ટાર્ગેટ પર હતી.
બીજી તરફ સંસદમાં આ મામલે ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી રાજીનામાની માગણી કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધીની મોદી સરકાર જાસુસી કરાવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ રિપોર્ટ વિકાસ યાત્રાને પાટા પરથી નીચે ઉતારવા માટે ફેલાવમાં આવી રહ્યો છે.
ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટે એક ચોક્કસ વર્ગ આ પ્રકારના ફોન ટેપિંગના રિપોર્ટને ફેલાવી રહ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં ફોન ટેપિંગના આ રિપોર્ટને જુઠો ગણાવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે એનએસઓએ ખુદ કહ્યું છે કે પેગાસસ સોફ્ટવેર 45 દેશોને અમે આપીએ છીએ, એવામાં ભારતને જ કેમ ટાર્ગેટ કરાયો.
દરમિયાન સંસદમાં કોંગ્રેસ, સપા, બસપા અને અકાળી દળે ખેડૂતોનું આંદોલન, મોંઘવારી મુદ્દે સંસદમાં હોબાળો મચાવ્યો હતો. લોકસભામાં મંત્રીઓના પરિચય મુદ્દે હોબાળો થતા પીએમ મોદીએ કહ્યું હતું કે જે નવા મંત્રી બન્યા છે તેમનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે.
એવામાં હંગામો મચાવવો મહિલા વિરોધી માનસિક્તા દર્શાવે છે અને પહેલી વખત આવું સંસદમાં જોવા મળ્યું છે. બીજી તરફ હંગામાને પગલે સંસદને બે કલાક માટે સૃથગિત કરી દેવામા આવી હતી. જ્યારે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે મે પાંચ વખત મારો મોબાઇલ બદલ્યો છતા હેકિંગ હજુ પણ જારી છે.
અશ્વિની વૈષ્ણવે જાસૂસીના આરોપ ખોટો ગણાવ્યા
સત્રની શરૂઆત પહેલા જ ફોન ટેપિંગના અહેવાલ આશ્ચર્યજનક
ભારતમાં નિયમો હોવાથી ફોન ટેપિંગ શક્ય નથી
નવી દિલ્હી : દેશમાં એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસૃથા તરફથી ફોન ટેપિંગ અને જાસૂસીના મામલા અંગે રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા પછી તેને લઈને ઘમાસાણ મચી ગયું છે. સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે આ રિપોર્ટ પર ગૃહમાં મોટાપાયા પર શોરબકોર થયો અને કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના અંગે સ્પષ્ટતા કરવી પડી. તેમણે ફોન ટેપિંગ દ્વારા જાસૂસીના આરાપને ખોટા ગણાવ્યા છે.
અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે ડેટાનો જાસૂસી સાથે કોઈ સંબંધ નથી. આ અંગે જે અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે તે ગેરમાર્ગે દોરનારા છે. આ પ્રકારના આરોપોનો કોઈ આધાર નથી. આ પ્રકારના આરોપો પહેલા પણ લગાવવામાં આવી ચૂક્યા છે. એનએસઓ આ પ્રકારના આરોપોને પહેલા જ ફગાવી ચૂક્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ અહેવાલ સનસનીખેજ છે. આ ઉપરાંત તેમા કોઈ દમ નથી. કેન્દ્રીય સંચારમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં આ રીતે કોઈપણ બાબતને ઇન્ટરસેપ્ટ કરવાની સ્પષ્ટ પ્રક્રિયા છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીગેસસ સોફ્ટવેરના ઉપયોગ દ્વારા ભારતના ઘણા પત્રકારો, નેતાઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જાસૂસી સરકારે કરાવી હતી. સંસદના ચોમાસુ સત્રના પહેલા આવેલા રિપોર્ટના લીધે ગૃહમાં મોટાપાયા પર હંગામો મચે તેવી સંભાવના તો હતી જ. વિપક્ષ તરફથી લોકસભા અને રાજ્યસભામાં તેના પર ચર્ચા કરવા માટે માંગ કરવામાં આવી હતી.
સીપીઆઇ નેતા વિનય વિશ્વમ, આરજેડી નેતા મનોજ ઝા અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ સહિત ઘણા સાંસદોએ આ મુદ્દો ઉઠાવ્યો. બીજી બાજુએ કોંગ્રેસના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધીએ ટવીટ કરીને સરકાર પર કટાક્ષ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 40થી વધારે પત્રકારોના ફોન હેક કરવામાં આવ્યા છે. તેના પર હવે બબાલ મચે તેવી સંભાવના છે. આ ફોન હેકિંગનો મામલો છે. રવિવારે રાત્રે આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાયેલના સોફ્ટવેર પીગેસસની મદદથી ભારતના 300 જેટલા લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા. તેમા પત્રકાર, મંત્રી, નેતા, બિઝનેસમેન અને જાહેર જીવન સાથે જોડાયેલા અન્ય લોકો સામેલ છે. આ અહેવાલ વોશિંગ્ટન પોસ્ટ સહિત વિશ્વની 16 મીડિયા કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
એમેઝોને પીગાસસની કંપનીના એકાઉન્ટ બંધ કર્યા
વોશિંગ્ટન : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનએસઓ ગુ્રપ, પીગેસસ સ્પાયવેરનું વેચાણ કરતી ઇઝરાયેલી સર્વેલન્સ ફર્મ સાથે લિંક એકાઉન્ટને એમેઝોન વેબ સર્વિસિસ (એડબલ્યુએસ) દ્વારા બંધ કરી દેવાયું છે, આ પગલું વૈશ્વિક સહયોગાત્મક તપાસના પ્રોજેક્ટમાં જાહેર થયું કે પીગેસસ સ્પાયવેર દ્વારા કેટલાક દેશોના લોકોને લક્ષ્યાંક બનાવાયા છે અને તેમાં ભારતના 300થી વધારે વ્યક્તિઓના નંબર છે પછી લેવાયું છે.
અમે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ અંગે જાણ્યુ કે તરત જ અમે તેને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એકાઉન્ટ્સ બંધ કરી દીધા, એમ એડબલ્યુએસના પ્રવક્તાએ મધરબોર્ડને જણાવ્યું હતું. તેમા ભારતના નરેન્દ્ર મોદી સરકારના બે પ્રધાનો અને ત્રણ વિપક્ષના નેતાઓ, એક બંધારણીય સત્તાધીશ, કેટલાક પત્રકારો અને ધંધાકીય શખ્સો હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rt8zWA
via IFTTT
ટિપ્પણીઓ નથી: