વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

નવી દિલ્હી, તા.૨૫
ભારતમાં ડિજિટલાઈઝેશન અને વર્ક ફ્રોમ હોમનું પ્રમાણ વધ્યું છે ત્યારે દુનિયાભરમાં ટેક સપોર્ટ સ્કેમ મારફત નાણાં ગુમાવનારા લોકોમાં ભારતીયોની સંખ્યા પણ સૌથી વધુ રહી છે. માઈક્રોસોફ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા એક વૈશ્વિક સરવે મુજબ પ્રત્યેક ૧૦માંથી સાત ભારતીય ગ્રાહકોએ ટેક સપોર્ટ સ્કેમ મારફત પોતાના નાણાં ગુમાવ્યા છે. બીજીબાજુ સિક્યોરિટી કંપની એવસ્ટે જણાવ્યું હતું કે, તેણે વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતમાં ૨,૦૦,૦૦૦ ટેક સપોર્ટ સ્કેમ ડીટેક્ટ અને બ્લોક કર્યા હતા.
ભારત પછી અમેરિકા, મેક્સિકો અને ઓસ્ટ્રેલિયાના લોકોએ ટેક સપોર્ટ સ્કેમ મારફત તેમના નાણાં ગુમાવ્યા છે. અમેરિકા અને મેક્સિકોનો ૧૦-૧૦ ટકા અને ઓસ્ટ્રેલિયાની ૯ ટકા હિસ્સો છે. ટેક સપોર્ટ સ્કેમમાં અનિચ્છિત કૉલ્સ અથવા ઈ-મેલ્સ અને વેબસાઈટ્સ પરની પોપ-અપ જાહેરાતોનો સમાવેશ થાય છે, જે યુઝર્સને છેતરીને માલવેર ડાઉનલોડ કરે છે અથવા બનાવટી સેવાઓ માટે ગ્રાહકો નાણાં ચૂકવે છે. આ સંદર્ભમાં સૌથી સામાન્ય ઉદાહરણ એ છે કે એક વેબસાઈટ પર પોપ-અપ એડ તમારા કમ્પ્યુટરમાં કોઈ ખરાબી છે અને તે દૂર કરવા માટે યુઝર્સને સોફ્ટવેર ડાઉનલોડ કરવા જણાવાય છે.
માઈક્રોસોફ્ટના રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ ૨૦૧૮થી આવા કૌભાંડોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. માઈક્રોસોફ્ટ ડિજિટલ ક્રાઈમ યુનિટ, એશિયાના રીજનલ લીડ, આસિસ્ટન્ટ જનરલ કાઉન્સેલ મેરી જો શ્કાર્ડે જણાવ્યું હતું કે, ભારતમાં ડિજિટલાઈઝેશન અને વર્ક ફ્રોમ હોમનું પ્રમાણ વધ્યું હોવાથી સાઈબર સ્કેમ કરનારાઓએ ભારત તરફ ફોકસ કર્યું છે.
આ રિપોર્ટ મુજબ અન્ય દેશોની સરખામણીમાં ત્રણ ગણા વધુ ભારતીયો આવા સાઈબર સ્કેમનો ભોગ બને છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં યુઝર્સે એક વર્ષમાં ૬૯ ટકા ટેક સપોર્ટ સ્કેમનો સામનો કર્યો છે. વર્ષ ૨૦૧૮માં ૧૪ ટકાની સરખામણીમાં ૨૦૨૧માં ૩૧ ટકા ભારતીયોએ વધુ નાણાં ગુમાવ્યા છે. ભારતમાં ફોન સ્કેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય ૪૨ ટકા ભારતીયોને અનિચ્છિત ઈ-મેલ મળ્યા છે. ૩૧ ટકા ભારતીયોએ અનિચ્છનિય કૉલ રિસિવ કર્યા છે જ્યારે ૨૦૧૮માં ૨૩ ટકા ભારતીયોને આવા કોલ આવ્યા હતા.
રસપ્રદ બાબત એ છે કે આવા સ્કેમમાં મોટાભાગે વૃદ્ધોને નિશાન બનાવવામાં આવતા હોય છે. જોકે, માઈક્રોસોફ્ટના તાજા રિપોર્ટ મુજબ આ વર્ષે ૨૪થી ૩૭ વર્ષની વયના લોકો આવા સાઈબર સ્કેમનો સૌથી વધુ ભોગ બન્યા છે, જેમાં ૭૩ ટકા પુરુષોનો સમાવેશ થાય છે. સાઈબર ધૂતારાઓ સાથે વાત કરનારામાંથી ૩૫ ટકા લોકોએ રૂ. ૭,૫૦૦ સુધી જ્યારે ૨૨ ટકા લોકોએ રૂ. ૩૭,૫૦૦ સુધી અને ૮ ટકા લોકોએ તેનાથી વધુ નાણાં ગુમાવ્યા છે.
દેશમાં સાઈબર ધૂતારાઓને ૪૩ ટકા બેન્ક ટ્રાન્સફરથી નાણાં ચૂકવાય છે. ઉપરાંત ગીફ્ટ કાર્ડ્સ, પેપાલ, ક્રેડિટ કાર્ડ્સ અને બિટકોઈનથી પણ નાણાં ચૂકવાયા છે. જોકે, સાઈબર છેતરપિંડીનો ભોગ બનનારામાંથી ૮૮ ટકા લોકો તેમના નાણાં પરત મેળવવામાં સફળ રહ્યા છે. માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, તેને વૈશ્વિક સ્તરે આવા સ્કેમની માસિક ૬,૫૦૦ ફરિયાદો મળે છે. જોકે, અગાઉના વર્ષોમાં આ વૈશ્વિક સરેરાશ માસિક ૧૩,૦૦૦ ફરિયાદોની હતી. સરવેથી જાણવા મળે છે કે ૨૦૨૧માં ૪૭ ટકા ભારતીયો કરતાં વધુ અથવા કંઈક અંશે અનિચ્છિત સંપર્ક પર વિશ્વાસ કરવાની સંભાવના છે. વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૩૨ ટકા હતો. આ સરવે ૬-૧૭ મે ૨૦૨૧ વચ્ચે દુનિયાના ૧૬ દેશોના ૧૬,૨૫૪ પુખ્ત ઈન્ટરનેટ યુઝર્સ પર કરવામાં આવ્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eUDkhM
via IFTTT
ટિપ્પણીઓ નથી: