એપીએમસી માટે રૂ. ૧ લાખ કરોડ, હેલ્થ સેક્ટર માટે રૂ. ૨૩ હજાર કરોડ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. નવા મંત્રીમંડળની બુધવારે રચના થયા પછી ગુરુવારે કેબિનેટની પહેલી બેઠક મળી હતી, જેમાં કૃષિ અને હેલ્થ સેક્ટર સંબંધિત નિર્ણયો લેવાયા હતા. દેશમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આઠ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને ખુશ કરવા કેન્દ્ર સરકાર એપીએમસી મારફત રૂ. ૧ લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચાડશે જ્યારે તેમજ કોરોના સામે લડવા અને સ્વાસ્થ્ય ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે સરકારે રૂ. ૨૩,૧૨૩ કરોડના ઈમર્જન્સી પેકેજની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયા, નરેન્દ્રસિંહ તોમરે આ માહિતી આપી હતી.
નવે કેબિનેટની રચના થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે પાંચ વાગ્યે બોલાવેલી કેબિનેટ બેઠક લગભગ એક કલાક ચાલી હતી. આ બેઠક પૂરી થયા પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર એપીએમસીનું સશક્તિકરણ ઈચ્છે છે. સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે હેઠળ એપીએમસી મારફત રૂ. ૧ લાખ કરોડ ખેડૂતો સુધી પહોંચાડાશે. બીજીબાજુ નવા કૃષિ કાયદાના પગલે દેશમાં એપીએમસીનું અસ્તિત્વ ભૂંસાઈ જશે તેવા આંદોલનકારી ખેડૂતો અને વિપક્ષના આક્ષેપોને કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે દેશમાં કૃષિ મંડીઓ ખતમ નહીં થાય, પરંતુ તેને વધુ મજબૂત કરાશે. એપીએમસી હવે ૧ લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણય મારફત કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, દેશમાં એપીએમસી બંધ થઈ જશે તેવો તેમનો ભય ખોટો છે. કૃષિ મંત્રી તોમરે સ્પષ્ટપણે કહ્યું કે સરકાર કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેઓ કાયદાના દરેક પાસા પર વાત કરી શકે છે, પરંતુ તેને પાછા ખેંચવાનો સવાલ જ પેદા થતો નથી.
તોમરે કહ્યું કે દેશમાં મોટાપાયે નારિયેલની ખેતી થાય છે. નારિયેલનું ઉત્પાદન વધે અને ખેડૂતોને સુવિધા પૂરી પાડી શકાય તેના માટે ૧૯૮૧માં નારિયેલ બોર્ડ એક્ટ રજૂ કરાયો હતો. હવે તેમાં સુધારો કરાશે. બોર્ડના અધ્યક્ષ બિનશાસકીય વ્યક્તિ હશે. બોર્ડના અધ્યક્ષ કૃષિ ક્ષેત્રની પૃષ્ઠભૂમિના હશે અને તેઓ વાસ્તવિક સ્થિતિને સારી રીતે સમજી શકશે. આ સિવાય એક્ઝિક્યુટિવ પાવર માટે સીઈઓ બનાવાશે. આ ઉપરાંત બોર્ડમાં બે પ્રકારના સભ્ય હશે.
બજેટમાં કહેવાયું હતું કે, મંડીઓ બંધ નહીં થાય, પરંતુ તેને વધુ મજબૂત કરાશે. મંડીઓને વધુ સંશાધન મળે તે માટે પ્રયાસ કરાશે. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને આત્મનિર્ભર ભારત હેઠળ ૧ લાખ કરોડ રૂપિયા અપાયા છે. આ ફંડનો ઉપયોગ એપીએમસી કરી શકશે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ એક કરતાં વધુ પ્રોજેક્ટ કરશે તો દરેક પ્રોજેક્ટ પર અલગ અલગ બે કરોડ રૂપિયા સુધી વ્યાજ પર છૂટ અને ગેરેન્ટી મળશે. જોકે, આ પ્રોજેક્ટ અલગ અલગ સ્થળ પર હોવા જોઈએ અને તેની મહત્તમ મર્યાદા ૨૫ હશે.
ભારતે કોરોના મહામારીની બીજી લહેરમાં ભારે ખુવારીનો સામનો કર્યો હતો.જોકે, કોરોનાની ત્રીજી લહેરના સામના માટેની તૈયારીના ભાગરૂપે નવનિયુક્ત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભવિષ્યમાં કોરોનાનો સામનો કરવા માટે ૨૩,૧૨૩ કરોડ રૂપિયાનું ઈમર્જન્સી હેલ્થ પેકેજ બનાવાયું છે. કેન્દ્ર સરકાર ૧૫,૦૦૦ કરોડ રૂપિયા આપશે જ્યારે રાજ્ય સરકાર રૂ. ૮,૦૦૦ કરોડ આપશે. ૭૩૬ જિલ્લામાં પીડિયાટ્રિક યુનિટ બનાવાશે. ૨૦,૦૦૦ આઈસીયુ બેડ તૈયાર કરાશે. એપ્રિલ ૨૦૨૦માં કોરોના માટે પહેલા પેકેજમાં ૧૫ હજાર કરોડ રૂપિયા અપાયા હતા. કોરોના હોસ્પિટલ ૧૬૩થી વધારીને ૪,૩૮૯ થઈ ગઈ. ઓક્સિજન બેડની સંખ્યા ૫૦,૦૦૦થી વધારીને ૪,૧૭,૩૯૬ કરી દેવાઈ છે.
કોરોના સામે લડવા કેબિનેટમાં અન્ય અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ મારફત કોરોનાનું નિરિક્ષણ કરાશે. આગામી નવ મહિનામાં કોરોના માટે બધા જ હેલ્થ કેર વિદ્યાર્થીઓ કામ કરશે. કોરોનાના કેસમાં વધારો થાય અને એક ફીલ્ડ હોસ્પિટલની જરૂર પડે તો ૫,૦૦૦ બેડ અને ૨૫૦૦ બેડની હોસ્પિટલ ઓછા સમયમાં બનાવી શકાશે. આગામી ૯ મહિનામાં રાજ્યોમાં ૧૦ હજાર લીટર ઓક્સિજન સ્ટોરેજ સિસ્ટમ બનાવાશે.
મનસુખ માંડવિયાએ કહ્યું કે, જિલ્લા સ્તરે એક કરોડ દવાઓ પૂરી પડાશે. જેથી કોરોનાની કોઈપણ સંભવિત લહેરથી બચી શકાશે. કોરોના વિરુદ્ધ રાજ્યો અને કેન્દ્ર સાથે મળીને લડવું પડશે. કેબિનેટ બેઠક પછી સાંજે સાત વાગ્યે મંત્રીપરિષદની પણ બેઠક બોલાવાઈ હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hp3E5y
via IFTTT
ટિપ્પણીઓ નથી: