દિલ્હીમાં આજે સર્જાઈ શકે છે પાણીનું 'મહાસંકટ', જાણો કારણ

- છેલ્લા કેટલાક દિવસોથી હરિયાણા તરફથી યમુનામાં વધુ પાણી નથી છોડવામાં આવી રહ્યું જેની અસર આગામી દિવસોમાં દિલ્હીમાં દેખાઈ શકે
નવી દિલ્હી, તા. 11 જુલાઈ, 2021, રવિવાર
દિલ્હીમાં પાણીનું મહાસંકટ જોવા મળી શકે છે. દેશની રાજધાની પહેલેથી જ પાણીની તંગીથી પરેશાન છે. ત્યારે પ્રાપ્ત વિગતો પ્રમાણે 11 જુલાઈના રોજ સવારથી જ દિલ્હીમાં પાણીની વધુ મુશ્કેલી અનુભવાઈ શકે છે. આવું બનવાનું કારણ વજીરાબાદના તળાવનું જળસ્તર ઘટી ગયું છે તે છે. બીજી બાજુ હરિયાણા બાજુથી યમુનાનું પાણી રોકવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ બંને કારણોના લીધે દિલ્હીમાં પાણીનું મહાસંકટ સર્જાઈ શકે છે.
દિલ્હીમાં પાણીનું મહાસંકટ
આ સંકટ માટે આમ આદમી પાર્ટી હરિયાણા સરકારને જવાબદાર ગણાવી રહી છે. તેમના કહેવા પ્રમાણે હરિયાણાની ખટ્ટર સરકારે યમુનામાં સામાન્યપણે છોડવામાં આવે છે તેટલું પાણી નથી છોડ્યું. આ કારણે દિલ્હીમાં હવે પાણીની તંગી સર્જાઈ શકે છે. રાઘવ ચઢ્ઢાએ આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને દિલ્હીની જળ આપુર્તિ અન્ય રાજ્યો પર નિર્ભર છે તેમ જણાવ્યું હતું. ગંગા, યમુના અને ગ્રાઉન્ડ વોટર દ્વારા દિલ્હીની વધી રહેલી ડિમાન્ડ પૂરી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હરિયાણા તરફથી યમુનામાં વધુ પાણી નથી છોડવામાં આવી રહ્યું જેની અસર આગામી દિવસોમાં દિલ્હીમાં દેખાઈ શકે છે.
મુખ્ય કારણ શું?
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે 11 જુલાઈના રોજ સવારે અને રાતે દિલ્હીમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. જ્યાં સુધી તળાવમાં પાણીનું જળસ્તર યોગ્ય નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા બની રહેશે. આ કારણે દિલ્હીમાં આગામી દિવસો પડકારજનક સાબિત થઈ શકે છે. પાણીની તંગીની સૌથી વધુ અસર કરોલ બાગ, કમલા નગર, શક્તિ નગર, રાજેંદર નગર, પટેલ નગર, સંગમ વિહાર, મૂલચંદ, ગ્રેટર કૈલાશ જેવા વિસ્તારોમાં દેખાઈ શકે છે.
આમ આદમી પાર્ટીએ કરેલા દાવા પ્રમાણે હાલ જળ બોર્ડ દ્વારા દિલ્હીની પીક ડિમાન્ડ પણ પૂરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં દિલ્હીના લોકોને 945 એમજીડી પાણી આપવામાં આવ્યું છે. પરંતુ હવે જ્યારે ગરમી વધી રહી છે અને જળસ્તર ઘટી રહ્યું છે તો આગામી દિવસોમાં પડકાર વધી શકે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e3Cfnq
via IFTTT
ટિપ્પણીઓ નથી: