વિશ્વમાં ત્રીજી લહેર શરૂ, ભારત માટે ૧૨૫ દિવસ ક્રિટિકલ : કેન્દ્ર


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૬

કોરોના મહામારીની બીજી લહેરમાંથી માંડ છૂટકારો મળ્યા પછી ફરીથી સરકારની ચિંતા વધવા લાગી છે. કોરોનાનો પ્રકોપ ઘટતાં લોકો હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર કોરોના પ્રોટોકોલ તોડીને ટોળે વળતાં સરકારની ચિંતિત છે. એવામાં દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી વચ્ચે દેશમાં ૭૩ જિલ્લાઓમાં કોરોનાના દૈનિક ૧૦૦થી વધુ કેસ નોંધાતા હોવાથી સરકારની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે વધુ એક વખત ચેતવણીજનક સૂરમાં કહ્યું હતું કે દેશ માટે આગામી ૧૦૦થી ૧૨૫ દિવસ ઘણા જ મહત્વના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યોને ત્રીજી લહેર રોકવા માટે આગોતરાં પગલાં લેવા નિર્દેશો આપ્યા છે અને રાજ્યોને ચાર-ટી 'ટેસ્ટ', 'ટ્રેક', 'ટ્રીટ' અને 'ટિકા'નો મંત્ર આપ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના ૭૩ જિલ્લામાં કોરોનાના દૈનિક કેસ ૧૦૦થી વધુ નોંધાઈ રહ્યા છે અને ૪૭ જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. કોરોના અંગે ભારતમાં આગામી ૧૦૦થી ૧૨૫ દિવસ ઘણા જ મહત્વના છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટાના આધારે આ બાબતનું વિશ્વેષણ કરાયું છે. વિશ્વ કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું છે તેમ નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું હતું. 

તેમણે ઉમેર્યું કે વિશ્વ પર નજર કરીએ તો સ્પેનમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસ ૬૪ ટકા વધ્યા છે જ્યારે નેધરલેન્ડ્સમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક સ્તરે ચેતવણી આપી છે. આપણે આ બાબત સમજવી પડશે. આપણા પર હજી પર કોરોનાનું ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે. હજી દેશમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે,પરંતુ સાવધાની નહીં રાખીએ અને કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરીએ તો સ્થિતિ ગમે ત્યારે બગડી શકે છે. ડૉ. પૉલે કહ્યું કે આઈસીએમઆર મુજબ  કોરોનાની રસીના બે ડોઝથી મોતનું જોખમ ૯૫ ટકા અને એક ડોઝથી ૮૨ ટકા ઘટી જાય છે. તમિલનાડુના પોલીસ કર્મચારીઓ પર કરાયેલા એક અભ્યાસના આધારે આ દાવો કરાયો છે.


દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના સંદર્ભમાં શુક્રવારે છ રાજ્યો તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાને કહ્યું કે દેશે પારસ્પરિક સહયોગ અને સંયુક્ત પ્રયાસોથી કોરોના સામે લડાઈ લડી છે. વડાપ્રધાન કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે ત્રીજી લહેર અટકાવવા માટે કોરોના વિરુદ્ધ આગોતરા અને અસરકારક પગલાં લેવા પડશે. આ સાથે વડાપ્રધાને ૪-ટી નીતિ પર ભાર મૂકતા કહ્યું કેત આપણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા (રસીકરણ)ની આપણી રણનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરીને આગળ વધતા રહેવું પડશે. આપણે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર વિશેષ ધ્યાન આપવું પડશે. જે જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધુ છે, જ્યાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં એટલું જ વધુ ફોકસ કરવું જરૃરી છે.

દરમિયાન દેશમાં શુક્રવારે કોરોનાના દૈનિક ૩૮,૯૪૯ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ ૩.૧૦ કરોડથી વધુ થયા હતા જ્યારે વધુ ૫૪૨ મોત સાથે કુલ મૃત્યુઆંક ૪.૧૨ લાખથી વધુ થયો છે. એક્ટિવ કેસ ઘટીને ૪.૩૦ લાખ થયા છે, જે કોરોનાના કુલ કેસના ૧.૩૯ ટકા જેટલા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીની સંખ્યા વધીને ૩.૦૨ કરોડ નજીક પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય રીકવરી દર સુધરીને ૯૭.૨૮ ટકા થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં ૧,૬૧૯નો ઘટાડો નોંધાયો છે. દેશમાં સતત ૨૫ દિવસથી પોઝિટિવિટી રેટ ત્રણ ટકાથી ઓછો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના ૩૯.૫૩ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hKnHeX
via IFTTT

ટિપ્પણીઓ નથી: