મુનવ્વર રાણા માટે યુપીના મંત્રીએ કહ્યું કે- ભારતીયો વિરૂદ્ધ ઉભા થનારા એન્કાઉન્ટરમાં માર્યા જશે


- બસપા નેતાએ અયોધ્યા મંદિરમાં દર્શન કર્યા તેને લઈ માયાવતીને સવાલ

નવી દિલ્હી, તા. 21 જુલાઈ, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ શાયર મુનવ્વર રાણાને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. આનંદ સ્વરૂપ શુક્લાના કહેવા પ્રમાણે જે પણ ભારતીયો વિરૂદ્ધ ઉભા થશે તેઓ એન્કાઉન્ટરમાં માર્યા જશે. 

બલિયા ખાતે મીડિયા સાથે વાત કરતી વખતે ઉત્તર પ્રદેશ સરકારમાં સંસદીય કાર્ય રાજ્ય મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ મુનવ્વર રાણા માટે કહ્યું કે, મુનવ્વર રાણા એવા લોકોમાંથી છે જે 1947ના ભાગલા બાદ ભારતમાં રોકાઈ ગયા હતા. તેઓ ભારતને અંદરથી તોડવાનું ષડયંત્ર રચનારાઓમાં સામેલ રહ્યા. આ સંજોગોમાં જે પણ લોકો ભારતીયો વિરૂદ્ધ ઉભા થશે તેઓ એનકાઉન્ટરમાં માર્યા જશે. 

મુનવ્વર રાણાએ શું કહ્યું હતું

હકીકતે પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો યોગી આદિત્યનાથ ફરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે તો તેઓ રાજ્ય છોડી દેશે. ઉપરાંત તેઓ એવું પણ માની લેશે કે હવે યુપી મુસલમાનો માટે રહેવાલાયક નથી. 

મુનવ્વર રાણાએ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીને લઈ સવાલ કર્યો હતો અને આવી પાર્ટીઓ ધ્રુવીકરણને બળ આપીને ચૂંટણી લડવા માગે છે તેમ કહ્યું હતું. 

મંત્રીનો બસપા પર હુમલો

બસપા નેતા સતીશ મિશ્રાએ તાજેતરમાં જ અયોધ્યા ખાતે રામલલાના દર્શન કર્યા હતા. આનંદ સ્વરૂપ શુક્લાએ આ અંગે કહ્યું કે, કાંશીરામજીએ અયોધ્યામાં મંદિરની જગ્યાએ શૌચાલય બનાવવાની વાત કરી હતી, આ સંજોગોમાં હવે માયાવતીજીએ જવાબ આપવો જોઈએ કે તેમના લોકો અયોધ્યામાં શું કરી રહ્યા છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kKY13P
via IFTTT

ટિપ્પણીઓ નથી: