આઠ રાજ્યોને નવા રાજ્યપાલ : આજે કેબિનેટ વિસ્તરણ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૬

દેશની રાજધાની નવી દિલ્હીમાં નજીકના સમયમાં મોદી સરકારની કેબિનેટમાં વિસ્તરણની અટકળોએ વેગ પકડયો છે એવામાં દેશમાં સંભવતઃ પહેલી વખત એક સાથે આઠ રાજ્યપાલોની બદલી કરાઈ છે. આ રાજ્યપાલોમાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરીને મોદી સરકારે બધાને ચોંકાવી દીધા છે. રાજ્યપાલોના રીસફલમાં કેટલાક રાજ્યપાલોની બદલી કરાઈ છે તો કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરાઈ છે તેમ રાષ્ટ્રપતિ ભવને મંગળવારે જણાવ્યું હતું. દરમિયાન કેન્દ્રિય કેબિનેટમાં જેડી-યુના નેતાઓના સમાવેશ મુદ્દે મુખ્યમંત્રી નિતિશ કુમારે પીએમ મોદી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે તેમ કહ્યું છે. વધુમાં એલજેપીમાંથી પશુપતિ પારસના સમાવેશની શક્યતા છે. 

રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા મુજબ સામાજિક કલ્યાણ અને સશક્તિકરણ વિભાગના ૭૩ વર્ષીય મંત્રી થાવરચંદ ગેહલોતની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરાઈ છે. ગેહલોત કર્ણાટકમાં વજુભાઈવાળાનું સ્થાન લેશે. વજુભાઈવાળા ૨૦૧૪થી કર્ણાટકના રાજ્યપાલ હતા. ઉપરાંત મધ્ય પ્રદેશ, મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓને રાજ્યપાલ બનાવાયા છે. મિઝોરમના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈની ગોવાના રાજ્યપાલ તરીકે બદલી કરાઈ છે જ્યારે હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા છે. ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બૈસને ઝારખંડ ખસેડાયા છે.

બંડારુ દત્તાત્રેયને હિમાચલ પ્રદેશમાંથી ટ્રાન્સફર કરીને હરિયાણાના રાજ્યપાલ બનાવાયા છે જ્યારે ડૉ. હરિબાબુ કંભમપતિની મિઝોરમના રાજયપાલ તરીકે નિમણૂક થઈ છે. ગુજરાત ભાજપના નેતા મંગુભાઈ છગનભાઈ પટેલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. આ પદ લાંબા સમયથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વધારાના હવાલા તરીકે સંભાળતા હતા. રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનશે. 

મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટમાં સૌપ્રથમ વખત મોટાપાયે ફેરફાર થઈ રહ્યું હોવાની અટકળો પૂરજોરમાં ચાલી રહી છે. વડાપ્રધાન મોદી બુધવાર અથવા ગુરુવારે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં ૮૧ સભ્યો હોઈ શકે છે, પરંતુ હાલ ૫૩ સભ્યો છે. એટલે કે મંત્રીમંડળમાં હજી ૨૮ સભ્યોનો સમાવેશ થઈ શકે છે. પરિણામે આ વિસ્તરણમાં એક કરતાં વધુ મંત્રાલય ધરાવતા મંત્રીઓનો બોજ હળવો કરવામાં આવી શકે છે. કેબિનેટ વિસ્તરણમાં આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી તેમજ વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓની નિમણૂક કરવામાં આવે તેવી સંભાવના છે.

બિહારમાં એનીએનો સાથી પક્ષ જેડી-યુએ કેન્દ્રીય કેબિનેટમાં જોડાવા અંગે વલણ નરમ કર્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વિજય પછી કેબિનેટમાં અપેક્ષા કરતાં ઓછું સ્થાન મળતાં જેડીયુએ સરકારમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે, હવે પોતાનું વલણ નરમ કરતાં મુખ્યમંત્રી નિતિશ કુમારે કહ્યું હતું કે, સરકારમાં સમાવેશ અંગે વડાપ્રધાન મોદી જે નક્કી કરશે તે અમે મંજૂર રાખીશું. જેડીયુ અધ્યક્ષ આરસીપી સિંહને ભાજપ સાથે વાટાઘાટો કરવા માટે પક્ષ તરફથી સત્તા અપાઈ છે. આ કેબિનેટ વિસ્તરણમાં જેડીયુમાંથી ત્રણને મંત્રી બનાવાવમાં આવી શકે છે.

બીજીબાજુ એલજેપીમાંથી દિવંગત નેતા રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસને કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવનાઓ છે. આ મુદ્દે વડાપ્રધાન મોદી સામે વાંધો ઉઠાવતાં રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને કહ્યું હતું કે, કાકા પશુપતિ પારસને એલજેપીના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવશે તો હું વિરોધ કરીશ અને જરૃર પડે કોર્ટનો આશરો લઈશ. તેઓ અપક્ષ તરીકે મંત્રી બને તેમાં મને કોઈ વાંધો નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UqMg7w
via IFTTT

ટિપ્પણીઓ નથી: