ફ્રાન્સે ભારત સાથેના રફાલ સોદામાં તપાસ શરૂ કરી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૩

ફ્રાન્સે ભારતને વેચેલા ૩૬ રફાલ ફાઈટર વિમાનોના રૂ. ૫૯,૦૦૦ કરોડના સોદામાં 'ભ્રષ્ટાચાર' અને 'લાભ પહોંચાડવા'ની તપાસ માટે એક ન્યાયાધીશની નિમણૂક કરી હોવાનું ફ્રેન્ચ ઈન્વેસ્ટિગેટીવ વેબસાઈટ મીડિયાપાર્ટના અહેવાલમાં જણાવાયું છે. આ રિપોર્ટના સંદર્ભમાં કોંગ્રેસે ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને વડાપ્રધાનને 'રફાલ કૌભાંડ'ની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) મારફત કરાવવાનો આદેશ આપવા જણાવ્યું છે. બીજીબાજુ ભાજપે રાહુલ ગાંધી પર પ્રતિસ્પર્ધી સંરક્ષણ કંપનીઓના એજન્ટ તરીકે કામ કરવાનો અને એક 'પ્યાદા' તરીકે તેમનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ મૂક્યો છે.

ફ્રાન્સની પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસીસની ફાઈનાન્શિયલ ક્રાઈમ બ્રાન્ચ (પીએનએફ)એ શુક્રવારે જણાવ્યું હતું કે, એક ફ્રાન્સીસી ન્યાયાધીશને 'ભ્રષ્ટાચાર'ની આશંકાના પગલે ભારતને રાફેલ ફાઈટર વિમાનોના વિવાદાસ્પદ અબજો ડોલરના સોદાની તપાસનું કામ સોંપવામાં આવ્યું છે. મિડિયાપાર્ટના અહેવાલ મુજબ ફ્રાન્સ અને ભારત એમ બે સરકારો વચ્ચે થયેલા આ સોદા અંગે ગત ૧૪મી જૂનથી ઔપચારિકરૂપે તપાસ શરૂ થઈ હતી.

વેબસાઈટના રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતને ૩૬ રફાલ વેચવા માટે ૨૦૧૬માં ૭.૮ અબજ યુરોના સોદા અંગે ફ્રાન્સમાં શંકાસ્પદ ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ શરૂ થઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે નેશનલ ફાઈનાન્સિયલ પ્રોસેક્યુટર્સ ઓફિસ (પીએનએફ) તરફથી તપાસની પહેલ કરવામાં આવી છે. સોદામાં કથિત અનિયમિતતાઓ અંગે એપ્રિલમાં 'મીડિયાપાર્ટ'નો એક રિપોર્ટ સામે આવતા અને ફ્રાન્સિસી એનજીઓ 'શેરપા' તરફથી ફરિયાદ નોંધાવાયા પછી પીએનએફે તપાસનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ દ્વારા રફાલ સોદા સમયે ફ્રાન્સના તત્કાલિન પ્રમુખ ફ્રાન્સવા ઓલાંદ અને તત્કાલિન નાણામંત્રી, જે હાલ ફ્રાન્સના પ્રમુખ છે તે ઈમેન્યુઅલ મૈક્રોંની કામગીરી અંગે પણ સવાલો કરાશે. વધુમાં તત્કાલિન સંરક્ષણ મંત્રી અને હવે ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-યવેસ લે ડ્રિયાન સંબંધિત બાબતો અંગે પણ પૂછપરછ થવાની શક્યતા છે. શેરપાએ ૨૦૧૮માં પણ તેની પહેલી ફરિયાદમાં એ હકીકતની ટીકા કરી હતી કે દસોલ્ટે તેના ભારતીય ભાગીદાર તરીકે અબજોપતિ અનિલ અંબાણીની અધ્યક્ષતાવાળા રિલાયન્સ જૂથની પસંદગી કરી હતી, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે.

મીડિયાપાર્ટ સાથે સંકળાયેલા પત્રકાર યાન ફિલિપીને કહ્યું કે એનજીઓ શેરપા દ્વારા દાખલ કરાયેલી પહેલી ફરિયાદને પૂર્વ પીએનએફ પ્રમુખ દ્વારા દબાવી દેવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં આ વેબસાઈટે ફ્રાન્સની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની તપાસને ટાંકીને દાવો કર્યો હતો કે રફાલ વિમાન બનાવનારી દસોલ્ટ એવિએશને એક ભારતીય વચેટિયાને ૧૦ લાખ યુરો આપ્યા હતા. દસોલ્ટ એવિએશને આ આરોપો ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટ નિશ્ચત કરવામાં નિયમોનો કોઈ ભંગ થયો નથી.

રફાલ સોદામાં વિવાદ શું છે?

ભાજપની આગેવાનીમાં એનડીએ સરકારે ફ્રાન્ચની એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશન પાસેથી ૩૬ રફાલ ફાઈટર જેટ ખરીદવા રૂ. ૫૯,૦૦૦ કોરડના સોદા પર ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. અગાઉની યુપીએ સરકાર દરમિયાન ૧૨૬ મીડિયમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ)ની ખરીદી માટે લગભગ સાત વર્ષની કાર્યવાહી પછી ફ્રેન્ચ એરોસ્પેસ ક્ષેત્રની અગ્રણી કંપની દસોલ્ટ એવિએશન સાથે રફાલ ફાઈટર અંગે આ કરાર થયો હતો. વાસ્તવિક કરારમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) સાથે ભાગીદારી થવાની હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો પડી ભાંગી હતી. પાછળથી બંને દેશો વચ્ચે ૨૦૧૬માં સોદો થયો, જેના હેઠળ ૩૬ રફાલ વિમાન માટે ૭.૮ અબજ યુરો ચૂકવવામાં આવ્યા અને દસોલ્ટ એવિએશને અનિલ અંબાણીના અધ્યક્ષતાવાળા રિલાયન્સ જૂથ સાથે ભાગીદારી કરી હતી.

ભારતે ૩૬માંથી ૨૬ રફાલ મેળવ્યા

ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશે અત્યાર સુધીમાં અત્યાધુનિક રફાલ ફાઈટર જેટની છઠ્ઠી બેચનો એરફોર્સના કાફલામાં સમાવેશ કર્યો છે. ત્રણ રફાલ ફાઈટર જેટની છઠ્ઠી બેચ મે મહિનાના અંતમાં ભારત પહોંચી હતી. ગયા વર્ષે ૨૯મી જુલાઈએ પાંચ રફાલની પહેલી બેચનું ભારતમાં આગમન થયું હતું. ભારતમાં અંબાલા એરબેઝ પર રફાલની પહેલી સ્ક્વોડ્રન તૈયાર થઈ ગઈ છે જ્યારે બીજી સ્ક્વોડ્રન પશ્ચિમ બંગાળમાં હાશિમારા ખાતે ગોઠવવામાં આવી છે. ભારતમાં છઠ્ઠી બેચના આગમન સાથે હવાઈદળે ફ્રાન્સ પાસેથી બે તૃતિયાંશ રફાલ ફાઈટર જેટ મેળવ્યા છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો મુજબ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ફ્રાન્સ પાસેથી ભારતને બધા જ ૩૬ રફાલ ફાઈટર જેટની ડિલિવરી થઈ જશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yfRCkk
via IFTTT

ટિપ્પણીઓ નથી: