કોરોનાની ગતિ વધી : 24 કલાકમાં નવા 46 હજાર કેસ, વધુ 509નાં મોત


એક દિવસમાં 65 લાખ સાથે રસીના કુલ 63 કરોડ ડોઝ અપાયા

સતત ચોથા દિવસે દૈનિક 30 હજારથી વધુ કેસ આવતા કેરળમાં રાત્રી કરફ્યૂ લાગુ, જિલ્લાઓમાં લોકડાઉન

નવી દિલ્હી : ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં ફરી વધારો થવા લાગ્યો છે. સતત ત્રીજા દિવસે કોરોનાના દૈનિક કેસ 45 હજાર નજીક રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 46759 કેસો સામે આવ્યા છે જ્યારે વધુ 509 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસો પણ વધીને હવે 3.59 લાખને પાર જતા રહ્યા છે. જે કુલ કેસોના 1.10 ટકા છે. આ ટકાવારી સપ્તાહ પહેલા માત્ર એક જ હતી. 

હાલ સૌથી ખરાબ સિૃથતિ કેરળની છે, કેન્દ્રએ કેરળ અને મહારાષ્ટ્રને ફરી રાત્રી કરફ્યૂ લાગુ કરવાની સલાહ આપી હતી. જેનો અમલ કેરળ સરકાર કરવા જઇ રહી છે. કેરળમાં આગામી સપ્તાહથી રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાગુ રહેશે. જ્યાં સાપ્તાહીક સંક્રમણ સાત ટકા હોય ત્યાં લોકડાઉન લાગુ કરવામાં આવશે.

કેરળમાં સતત ચોથા દિવસે કોરોનાના નવા 30 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. 27મી જુલાઇથી રાજ્ય સરકારે બે તહેવારોને ધ્યાનમાં રાખીને લોકડાઉન અને કરફ્યૂ હળવુ કર્યું હતું તેથી કેસો ઝડપથી વધી રહ્યા છે. 

બીજી તરફ કેરળ જેવી સિૃથતિ અન્ય રાજ્યોમાં થતી અટકાવવા માટે હવે કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે આગામી દિવસોમાં જે તહેવારો સામે આવી રહ્યા છે તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે પ્રકારના પગલા લેવામાં આવે.

ખાસ કરીને જે જિલ્લાઓમાં એક્ટિવ કેસો વધુ છે ત્યાં સિૃથતિ વધુ ચિંતાનજક હોવાનું કેન્દ્રએ કહ્યું છે. દરમિયાન રસીકરણ અભિયાન ઝડપી બનાવવામા આવી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના 63 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે રવિવારે સાંજે સાત વાગ્યા સુધીમાં રસીના 65 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mDPjoQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: