ફારુખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો હવે અફસોસ થઈ રહ્યો છે

જમ્મુકાશ્મીર,તા.31 ઓગસ્ટ 2021,મંગળવાર
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના અધ્યક્ષ ફારુખ અબ્દુલ્લાને 2018માં જમ્મુ કાશ્મીરમાં થયેલી પંચાયતની ચૂંટણીઓ નહીં લડવા બદલ પસ્તાવો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ કોન્ફરન્સે આ ચૂંટણીઓની સાથે સાથે 2019માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓનો પણ બહિષ્કાર કર્યો હતો.
પંચાયતની ચૂંટણી નહીં લડવાનો અફસોસ હોવાનુ સ્વીકારીને ફારુખ અબ્દુલ્લાએ જાહેર કાર્યક્રમ દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે, બહુ જલ્દી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનશે અને તેમાં અધિકારીઓ લોકોને જવાબ પણ આપશે. આ કાર્યક્રમ દરમિયાન જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા પણ હાજર હતા.
અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, આતંકીઓ દેશનો સાથ આપનારા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે અને તેમની રક્ષા કરવી દેશનુ કર્તવ્ય છે. રાજ્યના અધિકારીઓ ફોન ઉઠાવતા નથી. રાજ્યપાલ તેમને લોકોના ફોન કોલ લેવાનો આદેશ આપે તેવી મારી અપીલ છે.
તેમણે કહ્યુ હતુ કે, મને 2018માં પંચાયતની ચૂંટણી નહીં લડવાનો અફસોસ છે પણ આશા છે કે, બહુ જલ્દી રાજ્યમાં એક એવી સરકાર બનશે જે લોકો માટે કામ કરતી હોય.
આ પહેલા તેમણે અન્ય એક કાર્યક્રમમાં એવી આશા વ્યક્ત કરી હતી કે, બહુ જલ્દી આતંકવાદ ખતમ થશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zsw5WK
via IFTTT
ટિપ્પણીઓ નથી: