દુનિયાના આતંકીઓને આશરો આપનાર પાક. તુરંત પીઓકે ખાલી કરે : ભારત


સંયુક્ત રાષ્ટ્ર, તા.૨૫

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનને 'વીકટીમ' બતાવીને ફરી એક વખત કાશ્મીર રાગ આલાપતાં ભારતે 'રાઈટ ટુ રીપ્લાય' હેઠળ  ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં આતંકવાદીઓ કોઈપણ ડર વિના હરી-ફરી શકે છે અને લઘુમતીઓનું શોષણ થાય છે. પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપતો હોવાથી આખી દુનિયાને તેની નીતિઓના કારણે નુકસાન સહન કરવું પડયું છે. કાશ્મીરનો મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાને હકીકતમાં તેણે પચાવી પાડેલા કાશ્મીરનો કબજો તાત્કાલિક છોડી દેવો જોઈએ તેમ ભારતે જણાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ શુક્રવારે કહ્યું, પાકિસ્તાનના નેતા દ્વારા ભારતની આંતરિક બાબતોને વૈશ્વિક મંચ પર ઉઠાવવા અને ખોટું બોલીને આ પ્રતિષ્ઠિત મંચની છબી ખરાબ કરવાનો વધુ એક પ્રયાસ કર્યો છે. તેને જવાબ આપવા માટે અમે 'રાઈટ ટુ રિપ્લાય' અધિકારનો ઉપયોગ કરીએ છીએ. યુવાન ભારતીય રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રમાં ફરી એક વખત કાશ્મીર રાગ આલાપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને વર્ચ્યુઅલી સંબોધન કરતાં ફરી એક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખાને પાકિસ્તાનને 'આતંકવાદનો શિકાર' દેશ ગણાવ્યો હતો. ઈમરાન ખાને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણય અને પાકિસ્તાન સમર્થક અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધનનો મુદ્દો પણ ઊઠાવ્યો હતો.

જોકે, ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપતાં સ્નેહા દુબેએ જણાવ્યું હતું કે, આપણે સાંભળતા આવ્યા છીએ કે પાકિસ્તાન 'આતંકવાદનો શિકાર' છે. પરંતુ હકીકતમાં આ એ દેશ છે જેણે પોતે જ આગ લગાવી છે અને પોતાને આગ ઓલવનાર તરીકે બતાવવાનો દેખાડો કરી રહ્યો છે. પાકિસ્તાન માત્ર એવી આશાએ જ દુનિયાભરના આતંકવાદીઓને આશરો આપી રહ્યો છે કે તે પડોશી દેશોને જ નુકસાન પહોંચાડશે. પરંતુ હકીકતમાં તેની નીતિઓના કારણે આખી દુનિયાએ નુકસાન ઉઠાવવું પડયું છે. બીજીબાજુ તે પોતાના દેશમાં સાંપ્રદાયિક હિંસાને આતંકવાદી કૃત્યોના રૂપમાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કાશ્મીર મુદ્દે ઈમરાન ખાનને જવાબ આપતાં સ્નેહા દુબેએ જણાવ્યું કે સંપૂર્ણ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા, છે અને રહેશે. આ ક્ષેત્રોમાં એવા પ્રદેશોનો પણ સમાવેશ થાય છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજો જમાવ્યો છે. અમે પાકિસ્તાનને તેના ગેરકાયદે કબજાવાળા ક્ષેત્રોને તુરંત ખાલી કરવા જણાવીએ છીએ. ઈમરાન ખાન અને અન્ય પાકિસ્તાની નેતાઓ અનેક વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને વિશ્વ સંગઠનના અન્ય મંચોનો તેમના સંબોધનમાં જમ્મુ-કાશ્મીર અને ભારતની અન્ય આંતરિક બાબતોના મુદ્દાને ઉઠાવતા રહ્યા છે. પાકિસ્તાનના નેતાઓએ અનેક વખત મારા દેશ વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવા અને દુષ્પ્રચાર કરવા સંયુક્ત રાષ્ટ્રના મંચનો 'દુરુપયોગ' કર્યો છે.

સ્નેહા દુબેએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમાજ આ મહિને '૯/૧૧ના હુમલા'ની ૨૦મી વરસીને યાદ કરી રહ્યું છે ત્યારે દુનિયા એ પણ નથી ભૂલી કે આ હુમલાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જ આશરો મળ્યો હતો. આજે પણ પાકિસ્તાનના નેતાઓ તેનું 'શહીદ'ના રૂમાં ગૌરવગાન કરે છે. આખી દુનિયા માને છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યો છે. તેમને તાલિમ, ધન અને હથિયારો આપે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત સૌથી વધુ આતંકીઓને રાખવાનો ખરાબ રેકોર્ડ પણ પાકિસ્તાનના નામે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ESSoI7
via IFTTT

ટિપ્પણીઓ નથી: