સરદાર પટેલ ફક્ત ઈતિહાસમાં નહીં, પરંતુ તમામ ભારતીયોના મનમાં વસે છેઃ PM મોદી

- આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીની રાજધાની રોમ ખાતે હોવાથી ગૃહ મંત્રી અમિત શાહ એકતા પરેડમાં સામેલ થયા
નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર, 2021, રવિવાર
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત એકતા પરેડને વીડિયો સંદેશા દ્વારા સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, વલ્લભભાઈ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધંજલિ પાઠવી રહ્યો છે. સરદાર પટેલ ફક્ત ઈતિહાસમાં નથી રહેતા પરંતુ તે તમામ ભારતીયોના દિલમાં રહે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, રાષ્ટ્રીય એકતા દિવસ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. એક ભારત-શ્રેષ્ઠ ભારત માટે જીવનની દરેક પળ સમર્પિત કરી, આવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઈ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે.
વડાપ્રધાને કહ્યું કે, સરદાર પટેલ હંમેશા ઈચ્છતા હતા કે, ભારત સશક્ત બને, સમાવેશી પણ બને, સંવેદનશીલ બને અને સતર્ક પણ બને, વિનમ્ર પણ બને અને વિકસિત પણ બને. તેમણે દેશહિતને હંમેશા સર્વોપરિ રાખ્યું. આજે તેમની પ્રેરણાથી ભારત બાહ્ય અને આંતરિક, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ બની રહ્યું છે.
વધુમાં જણાવ્યું કે, આઝાદ ભારતના નિર્માણમાં સૌનો પ્રયત્ન જેટલો પ્રાસંગિક હતો, તેના કરતાં ઘણો વધારે આઝાદીના આ અમૃતકાળમાં થવાનો છે. આઝાદીનો આ અમૃતકાળ વિકાસની અભૂતપૂર્વ ગતિનો છે, આકરા લક્ષ્યો હાંસલ કરવાનો છે. આ અમૃતકાળ સરદાર સાહેબના સપનાના ભારતના નવનિર્માણનો છે. સરદાર સાહેબ આપણા દેશને એક શરીર તરીકે જોતા હતા. એક જીવંત એકમ તરીકે જોતા હતા. આ કારણે તેમના એક ભારતનો અર્થ એવો પણ થતો હતો જેમાં દરેક વ્યક્તિ માટે એક સમાન અવસર હોય, એક સમાન સપના જોવાનો અધિકાર હોય.
વડાપ્રધાને જણાવ્યું કે, આજથી અનેક દશકાઓ પહેલા તે સમયમાં પણ તેમના આંદોલની એ તાકાત હોતી કે તેમાં મહિલા-પુરૂષ દરેક વર્ગ, દરેક પંથની સામૂહિક ઉર્જા લાગતી હતી. આ કારણે આજે જ્યારે આપણે એક ભારતની વાત કરીએ છીએ તો એ એક ભારતનું સ્વરૂપ શું હોવું જોઈએ. એક એવું ભારત જેની મહિલાઓ પાસે એકથી અનેક અવસરો હોય. એક એવું ભારત જ્યાં દલિત, વંચિત, આદિવાસી, વનવાસી દેશનો પ્રત્યેક નાગરિક પોતાને એક સમાન અનુભવે. એક એવું ભારત જ્યાં વીજળી-પાણી જેવી સુવિધાઓમાં ભેદભાવ ન હોય, એક સમાન અધીકાર હોય તે જ આજે દેશ કરી રહ્યો છે. આ દિશામાં જ નીતનવા લક્ષ્યો નિર્ધારિત કરી રહ્યો છે અને આ એટલે બની રહ્યું છે કારણ કે, આજે દેશના દરેક સંકલ્પમાં સૌનો સાથ જોડાયેલો છે.
વડાપ્રધાનની જગ્યાએ અમિત શાહ થયા સામેલ
કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ મોદી સરકારે સરદાર પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીની રાજધાની રોમ ખાતે હોવાથી ગૃહ મંત્રી અમિત શાહ આ એકતા પરેડમાં સામેલ થયા. એકતા પરેડમાં દેશના તમામ રાજ્યોની પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી. આ સાથે જ સીઆઈએસએફ અને બીએસએફની સાથે સાથે દેશની બીજી અન્ય ફોર્સીઝ પણ આ પરેડમાં સામેલ થઈ. સાથે જ આ જવાનો દ્વારા પરેડની સાથે સાથે ખૂબ જ ખતરનાક કરતબો પણ દેખાડવામાં આવ્યા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w0bXdC
via IFTTT
ટિપ્પણીઓ નથી: