નક્સલીઓએ બિહારમાં એક જ પરિવારના ચારને ફાંસી આપી, બોમ્બથી ઘર ઊડાવ્યું

ગયા, તા. ૧૪
બિહારના ગયા જિલ્લામાં નક્સલીઓએ ક્રૂર અને હૃદયદ્રાવક ઘટના આચરી હતી. નક્સલીઓએ અહીં એક જ પરિવારના ચાર લોકોને ફાંસી પર લટકાવી દીધા અને ઘરને બોમ્બથી ઊડાવી દીધું હતું. નક્સલીઓએ આ ક્રૂર ઘટના આચર્યા પછી ત્યાં ચોપાનિયાઓ પણ લગાવ્યા હતા.
ગયા જિલ્લાના નક્સલગ્રસ્ત વિસ્તારના ડુમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોનબાર ગામના નિવાસી સરજૂ સિંહ ભોક્તાના ઘરે નક્સલીઓએ શનિવારે મોડી રાતે હુમલો કર્યો હતો. તેમણે સરજૂ ભોક્તાના બે પુત્રો સતેન્દરસિંહ ભોક્તા અને મહેન્દરસિંહ ભોક્તા તથા તેમની પત્નીઓને ફાંસી પર લટકાવી દીધા હતા. ત્યાર પછી તેમણે તેમના ઘરને બોમ્બથી ઉડાવી દીધું હતું.
ભોક્તા પરિવારને ખતમ કર્યા પછી નક્સલીઓએ આ વિસ્તારમાં ચોપાનિયા પણ લગાવ્યા હતા. ચોપાનિયામાં જણાવાયું હતું કે માણસાઈના હત્યારા, ગદ્દારો અને વિશ્વાસઘાતીઓને મોતની સજા આપ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આગળ પણ આવા હુમલા થતા રહેશે. ભોક્તા પરિવારે કાવતરું રચીને થોડાક દિવસ પહેલાં ચાર નક્સલીઓને ઝેર ખવડાવીને મારી નાંખ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, માર્યા ગયેલા નક્સલીઓનું એન્કાઉન્ટર થયું નહોતું. માર્યા ગયેલા નક્સલીઓમાં અમરેશ કુમાર, સીતા કુમાર, શિવપૂજન કુમાર અને ઉદય કુમારના નામનો ચોપાનિયામાં ઉલ્લેખ છે. પરિવારને ખતમ કર્યા પછી નક્સલીઓ જંગલમાં ભાગી ગયા હતા.
આ ઘટના પછી સ્થાનિક વિસ્તારમાં લોકો અત્યંત ભયભીત થઈ ગયા છે. આ ઘટનાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નક્સલીઓના ચોપાનિયા જપ્ત કર્યા હતા. પોલીસે આખા વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું હતું તેમ એસએસપી આદિત્ય કુમારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા ગયા જિલ્લાના ડુમરિયા પોલીસ સ્ટેશનના મોનબાર ગામમાં પોલીસે એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓને ઠાર કર્યા હતા. આ ઘટનાને નક્સલીઓના અન્ય નેતાઓએ બનાવટી ગણાવી હતી. તેમનું કહેવું હતું કે, જે ઘરમાં નક્સલીઓ રોકાયા હતા, તે ઘરના લોકોએ પોલીસ સાથે મળીને પહેલા તેમને ભોજનમાં ઝેર આપી મારી નાંખ્યા હતા અને પછી પોલીસને બોલાવી ખોટું એન્કાઉન્ટર કરાવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં નક્સલીઓએ શનિવારે રાતે ભોક્તા પરિવારને ખતમ કરી નાંખ્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wMUPZ6
via IFTTT
ટિપ્પણીઓ નથી: