દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, ઘરમા જ થયા આઈસોલેટ

- દિલ્હીમાં લગભગ 59 ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે
નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી, 2022, મંગળવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે જેની જાણકારી તેમણે પોતે જ ટ્વિટ કરીને આપી છે. તેમણે જણાવ્યું કે, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. સંક્રમણના લક્ષણો હળવા છે જેને ધ્યાનમાં રાખીને ઘરમાં જ આઈસોલેટ થયો છું. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરી પોતાને આઈસોલેટ કરો અને સાથે કોરોના ટેસ્ટ પણ કરાવો.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક
કોરોનાના વધતા કેસોની વચ્ચે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની આજે બેઠક થશે જેમા કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષાની સાથે તેનો સામનો કરવા માટે આગળની કાર્યયોજના તૈયાર થશે. અધિકારીઓનું કહેવું છે કે, આ સમયે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ધોરણ પર હાલ દિલ્હી રેડ ઝોનમાં પહોંચી ગઈ છે. નિયમિત લોકડાઉનની સ્થિતિ છે. જોકે, હજુ વધારે કેસો ગંભીર નથી. હોસ્પિટલોમાં પણ હજુ બેડ ખાલી છે. આ બધા વિશે ચર્ચા કરવા અને ભાવિ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ગ્રૈપની સખ્તી વધારવી કે યલો એલર્ટ ચાલુ રાખવું તે અંગે નિર્ણય લેવામાં આવશે.
એક વાર ફરીથી દિલ્હીની હોસ્પિટલ્સ હોટ સ્પોટ બનવા લાગી
કોરોના સંક્રમણને લઈને એક વાર ફરીથી દિલ્હીની હોસ્પિટલ્સ હોટ સ્પોટ બનવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ એક બાદ એક 5 મોટી હોસ્પિટલ્સમાં કેટલાય ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. સોમવારે મળેલી માહિતી અનુસાર સફદરજંગ હોસ્પિટલમાં 23, લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજમાં 15, આરએમએલમાં 11, AIIMS ટ્રોમા સેન્ટરમાં 6 અને મૌલાના આઝાદ મેડિકલ કોલેજના 4 રેસિડેન્ટ ડોક્ટરો કોરોના સંક્રમણની લપેટમાં આવી ચુક્યા છે. આ પાંચ સહિત દિલ્હીમાં લગભગ 59 ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે અને આ હોસ્પિટલ્સમાં 80 થી વધુ આરોગ્ય કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3HDZkd3
via IFTTT
ટિપ્પણીઓ નથી: