ભારતમાં કોરોનાના નવા અડધો લાખ કેસ , ઓમિક્રોનના કુલ કેસ ૧૯૦૦ને પાર

નવી દિલ્હી, તા.૪
ભારતમાં વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ જાન્યુઆરી મહિનો શરૂ થતાં જ કોરોનાની ત્રીજી શહેર શરૂ થઈ ગઈ છે. દેશમાં દરરોજ કોરોનાના કેસ બમણા વધી રહ્યા છે. મંગળવારે કોરોનાના દૈનિક કેસ અડધો લાખ એટલે કે ૫૦,૦૦૦ નજીક પહોંચી ગયા હતા અને ઓમિક્રોનના કુલ કેસ ૧૯૦૦ થયા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના દૈનિક કેસમાં અસાધારણ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મંગળવારે નવા ૧૮,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા.
દેશભરમાં કોરોનાના કેસમાં અસાધારણ વધારો થવાની સાથે જ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને મોડા-મોડા રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે. કોરોનાનો પ્રસાર રોકવા માટે રાજ્યોએ ફરી એક વખત નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર, દિલ્હી પછી હવે પશ્ચિમ બંગાળમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. દેશમાં મંગળવારે કોરોનાના દૈનિક કેસ ૫૦,૦૦૦ને નજીક પહોંચ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૮,૦૦૦ કેસ નોંધાયા છે.
દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધતા કેજરીવાલ સરકારે વીકએન્ડમાં કરફ્યૂ લાગુ કર્યો છે. ઓમિક્રોનના કેસ વધતા દિલ્હીમાં પહેલા નાઈટ કરફ્યૂ લાગુ કરાયો હતો. પરંતુ સંક્રમિતોની સંખ્યામાં તિવ્ર ગતિએ વધારો થઈ રહ્યો છે. પરિણામે શનિવાર અને રવિવારે કરફ્યૂ લગાવવાનો નિર્મય લેવાયો છે. ઉપરાંત દરરોજ રાતે ૧૦થી સવારે ૫.૦૦ સુધી નાઈટ કરફ્યૂ યથાવત્ રહેશે. ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ટુ હોમના નિર્દેશ અપાયા છે. જોકે, મેટ્રો અને બસોને ૫૦ ટકાના બદલે ૧૦૦ ટકા ક્ષમતા સાથે ચલાવવા આદેશ અપાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા છે. વધુમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તે પણ હોમ આઈસોલેટ થયા છે.
મહારાષ્ટ્રમાં પણ ફરી એક વખત કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં પૂણે અને મુંબઈ જેવા શહેરોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મંગળવારે ૧૮,૪૬૬ કેસ સામે આવ્યા હતા, જે ગઈકાલ કરતાં બાવન ટકા વધુ હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૬૭,૩૦,૪૯૪ થયા છે. રાજ્યમાં ઓમિક્રોનના વધુ ૭૫ કેસ સાથે કુલ કેસ ૬૫૩ થયા હતા. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે શહેરમાં કોરોનાના દૈનિક કેસ ૨૦,૦૦૦થી વધુ આવશે તો લોકડાઉન લાગુ કરાશે.
મહારાષ્ટ્ર અને દિલ્હી પછી પશ્ચિમ બંગાળમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. બંગાળમાં મંગળવારે કોરોનાના દૈનિક ૯,૦૭૩ કેસ નોંધાયા હતા, જે ગઈકાલ કરતાં ૪૯ ટકાનો વધારો દર્શાવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બંગાળના પાટનગર કોલકાતામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. આ વર્ષે વિધાનસભા ચૂંટણીના કારણે સતત મીડિયાની નજરમાં રહેલા ઉત્તર પ્રદેશમાં પણ દિલ્હીની જેમ વીકએન્ડ કરફ્યૂ લગાવવા રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં નાઈટ કરફ્યૂ અગાઉથી જ લાગુ કરી દેવાયો છે, જેનો સમય વધારવામાં આવે તેવી શક્યતા છે. ઉપરાંત આગામી સમયમાં થિયેટર, મોલ, સ્વીમિંગ પૂલ, જીમ, પાર્ક વગેરે પણ બંધ થઈ શકે છે.
દેશના વધુ એક ચૂંટણી રાજ્ય પંજાબમાં પણ સરકારે નાઈટ કરફ્યૂ લાગુ કરવા અંગે નિર્ણય કર્યો છે, જે મુજબ રાતે ૧૦.૦૦થી સવારે ૫.૦૦ સુધી કરફ્યૂ રહેશે. કેસ વધવાને પગલે સ્કૂલ-કોલેજ સહિતના શૈક્ષણિક સંસ્થાનો બંધ કરી દેવાયા છે. રસીના બંને ડોઝ લીધા હોય તેવા કર્મચારીઓને જ ઓફિસોમાં જવાની મંજૂરી અપાશે. સરકારના બધા જ પ્રતિબંધો ૧૫મી જાન્યુઆરી સુધી લાગુ રહેશે. ચંડીગઢની સરકારી રાજિન્દર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ૮૦ ડૉક્ટરો અને વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બિહારમાં પણ સરકારે નાઈટ કરફ્યૂ લાગુ કર્યો છે. દુકાનો રાતે ૮.૦૦ વાગ્યા સુધી જ ચાલુ રહેશે. સરકારી અને બીન-સરકારી ઓફિસો ૫૦ ટકા કર્મચારીઓ સાથે ચાલશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qMNfeA
via IFTTT
ટિપ્પણીઓ નથી: