કોંગ્રેસ ના હોત તો દેશને કટોકટી કે શીખોના નરસંહારનું કલંક ન લાગ્યું હોત : મોદી

નવી દિલ્હી, તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ વખતે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કોંગ્રેસને કટોકટી, શીખ વિરોધી રમખાણો, કાશ્મીરી પંડિતોના પલાયન, દેશમાં જાતીવાદી રાજકારણ માટે જવાબદાર ઠેરવી હતી અને કહ્યું કે, લોકતંત્રને સૌથી મોટું જોખમ પરિવારવાદી પક્ષોથી છે. કોંગ્રેસ અત્યારે અર્બન નક્સલીઓના કબજામાં છે. તેમણે પંડિત નહેરુ પર પણ તેમની વૈશ્વિક ઈમેજ બચાવવા ગોવાને ૧૪ વર્ષ સુધી આઝાદ નહીં કરાવ્યાનો આક્ષેપ મૂક્યો હતો.
લોકસભા પછી મંગળવારે રાજ્યસભામાં વડાપ્રધાને અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીના 'ભારત રાષ્ટ્ર નથી. તે રાજ્યોનો સંઘ છે' તેવા નિવેદનના જવાબમાં વડાપ્રધાને સૂચન કર્યું કે કોંગ્રેસનું નામ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના બદલે ફેડરેશન ઓફ કોંગ્રેસ કરી દેવું જોઈએ. વડાપ્રધાન મોદીએ સરકારની વિવિધ સિદ્ધિઓનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ પર દેશના વિકાસમાં અવરોધો ઊભા કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે કોરોના મહામારી છતાં વિશ્વમાં ભારત એકમાત્ર મોટું અર્થતંત્ર છે, જ્યાં વિકાસનો દર ઊંચો અને મોંઘવારીનો દર મધ્યમ છે. કોંગ્રેસ એક રીતે અર્બન નક્સલીઓના કબજામાં છે. તેથી તેના વિચાર નકારાત્મક થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના ભાષણ પછી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષના સભ્યોના સુધારાઓને નકારી કાઢતા તેને ધ્વનિ મતથી પસાર કરાયું હતું. આ પહેલાં વડાપ્રધાને કોંગ્રેસ પ્રત્યે આકરું વલણ અપનાવતા કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં ઈમર્જન્સી થોપનારા અને લોકતંત્રનું ગળું દબાવનારાને લોકતંત્ર પર ઉપદેશ આપવાનો અધિકાર નથી. ભારત લોકતંત્રની જનની છે. પરંતુ કોંગ્રેસની મુશ્કેલી એ છે કે તે પરિવારવાદથી આગળ કશું જ વિચારી શકતી નથી. ભારતના લોકતંત્રને સૌથી મોટું જોખમ પરિવારવાદી પક્ષોથી છે. વડાપ્રધાને કહ્યું કે, કોઈ પક્ષમાં એક જ પરિવાર સર્વોપરી હોય ત્યારે સૌથી મોટું નુકસાન પ્રતિભાને થાય છે.
મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગંધી પણ દેશની આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાખવા માગતા હતા. એવું થયું હોત તો દેશે દાયકાઓ સુધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો ન હોત. કોંગ્રેસ ન હોત તો દેશ પર કટોકટી કે શીખોના નરસંહાર કે કાશ્મીરી પંડિતોના કલંકનો સામનો કરવો પડયો ન હોત. દેશ પરિવારવાદથી મુક્ત હોત અને ભારત વિદેશીના બદલે સ્વદેશી સંકલ્પોના રસ્તે આગળ વધ્યો હોત.
વડાપ્રધાને દાવો કર્યો કે કોંગ્રેસ સત્તા પર હતી ત્યાં સુધી તેણે દેશનો વિકાસ થવા ન દીધો. રાહુલ ગાંધી ભારતને રાષ્ટ્ર નથી માનતા. આ ભારત અંગે કોંગ્રેસની વિચારધારાનું પરિણામ છે. કોંગ્રેસે ક્યારેય આ દેશને એક રાષ્ટ્ર માન્યો નથી. તે માત્ર એક પરિવારથી આગળ કશું વિચારી શકતી નથી. પંડિત નહેરુએ પણ પોતાની વૈશ્વિક ઈમેજ બચાવવા ગોવાને પોર્ટુગીઝ સરકારથી ૧૫ વર્ષ સુધી આઝાદ કરાવ્યું નહોતું. તેમણે સરદારે હૈદરાબાદ અને જુનાગઢમાં સૈન્ય તાકતનો ઉપયોગ કર્યો હતો તેમ ગોવાને આઝાદ કરવા સૈન્યનો ઉપયોગ ના કર્યો અને ગોવાના સત્યાગ્રહીઓને વિદેશી સરકાર સામે તરછોડી દીધા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VaL8g7K
via IFTTT
ટિપ્પણીઓ નથી: