યુક્રેન સંરક્ષણ મંત્રાલય, બેન્કો પર રશિયાનો સાઈબર એટેક

મોસ્કો, તા.૧૫
યુક્રેન પર આક્રમણના પશ્ચિમી દેશોના દાવાઓ વચ્ચે રશિયાએ મંગળવારે અચાનક જ સરહદેથી ટેન્કો અને સૈનિકોને પાછા ખેંચ્યા હોવાનો દાવો કરતાં દુનિયાએ યુદ્ધની સંભાવનાઓ ઘટી હોવાનો હાશકારો લીધો હતો. પરંતુ આ રાહત લાંબો સમય ટકી નહીં. યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને ટોચની બે બેન્કો પર મંગળવારે રાત્રે સાઈબર એટેક થતાં રશિયા-યુક્રેન સંકટ વધુ ઘેરું બન્યું છે. બીજીબાજુ અમેરિકા, નાટો અને યુરોપના દેશોએ રશિયાએ સૈન્યો અને ટેન્કો પાછા ખેંચ્યા હોવાનો ઈનકાર કરતાં પુતિન પાસે તેના પુરાવા માગ્યા હતા અને કહ્યું હતું કે રશિયાએ યુક્રેન સરહદેથી માત્ર આંશિક દળો પાછા ખેંચ્યા હોવાની શક્યતા છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને વ્યૂહાત્મક કોમ્યુનિકેશન્સ અને ઈન્ફર્મેશન સિક્યોરિટી માટેના સેન્ટરની વેબસાઈટ્સ એક્સેસ થઈ શકતી નહોતી. વધુમાં યુક્રેનની ટોચની બે બેન્કોની વેબસાઈટ પર પણ સાઈબર હુમલો થયો હતો. યુક્રેને આ હુમલા માટે કોઈનું નામ લીધું નહોતું. પરંતુ તેણે વ્યાપક સ્તરે તેને રશિયાની આક્રમક યોજનાઓનો ભાગ હોવાનો ઈનકાર કર્યો નહોતો. રશિયાએ યુક્રેન સરહદે ૧,૦૦,૦૦૦ સૈનિકો ખડક્યા તે પહેલાં પણ યુક્રેને મોસ્કો પર સાઈબર હુમલાના આક્ષેપો કર્યા હતા.
અગાઉ, અમેરિકાથી લઈને પશ્ચિમી યુરોપના દેશો સતત દાવો કર્યો હતો કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર હુમલો કરશે. યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર જેલેન્સ્કીએ પણ સોમવારે રાત્રે કહ્યું કે ૧૬મી ફેબુ્રઆરી હુમલાનો દિવસ હશે. અમેરિકન સૂત્રોએ રશિયાની હુમલાની યોજનાઓનો ઘટસ્ફોટ કરતાં દાવો કર્યો હતો કે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન મંગળવારની મોડી રાત્રે રાષ્ટ્રજોગ સંબોધન કરશે અને ત્યાર પછી બુધવારે વહેલી સવારે રશિયા યુક્રેન પર હુમલો કરશે.
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના શાંતિ પ્રયાસો વચ્ચે રશિયાના સંરક્ષણ મંત્રાલયની મંગળવારની જાહેરાતથી યુદ્ધના વાદળો આંશિક રીતે દૂર થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈગોર કોનાશેનકોવે કહ્યું કે રશિયાના દક્ષિણી અને પશ્ચિમી સૈન્ય એકમોએ યુદ્ધાભ્યાસ પછી તેમના સૈનિકોને તેમની સ્થાયી તૈનાતીવાળી જગ્યાઓ પર પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે અન્ય ભાગોમાં યુદ્ધાભ્યાસ ચાલુ રહેશે, જેમાં નૌકાદળનો પણ સમાવેશ થાય છે. કોનાશેનકોવે કહ્યું, દક્ષિણી અને પશ્ચિમી સૈન્ય ક્ષેત્રોના એકમો તેમના ટાસ્ક પૂરા કર્યા પછી તેમના બેરેકમાં પાછા ફરી રહ્યા છે.
મંત્રાલયે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં સૈન્ય વાહનો તેમના બેઝમાં પાછા ફરતા જોવા મળે છે. આ વાહનોમાં ટેન્ક, એએમપીવી, ઓટોમેટિક તોપોનો સમાવેશ થાય છે. મંત્રાલયે એક ક્લિપ શૅર કરી છે, જેમાં ટી-૭૨બીઝેડ ટેન્કો ડ્રીલ સાઈટથી પાછી ફરતી જોવા મળી શકે છે. બીજીબાજુ દુનિયાના સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવતા મેક્સર સેટેલાઈટની હાઈ-રિઝોલ્યુશનવાળી તસવીરોમાં છેલ્લા ૪૮ કલાકમાં બેલારુસ, ક્રિમિયા અને પશ્ચિમી રશિયામાં મોટાપાયે સૈન્ય જમાવડો જોઈ શકાય છે. વધુમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઈરલ થયા છે, જેમાં દાવો કરાયો છે કે રશિયન દળો યુક્રેનની સરહદથી માત્ર ૨૦ કિ.મી. દૂર બેલગોર્ડમાં જમાવડો કરી રહ્યા છે, જેમાં મિસાઈલ લોન્ચર્સ, ટેન્કો, આર્ટિલરી હેલિકોપ્ટર્સ વગેરેનો સમાવેશ થાય છે.
બીજીબાજુ અમેરિકન સૂત્રોએ દાવો કર્યો છે કે રશિયા બુધવારે વહેલી સવારે યુક્રેન પર હુમલો કરશે. વધુમાં આ હુમલા પહેલાં પ્રમુખ વ્લાદિમીર પુતિન મોડી રાત્રે રાષ્ટ્રજોગ સંબોધન કરીને હુમલાની સત્તાવારજાહેરાત કરશે. અમેરિકન સૂત્રોએ રશિયાની યુદ્ધની યોજનાનો ઘટસ્ફોટ કરવાનો દાવો કરતાં કહ્યંા કે, રશિયન સૈનિકો યુદ્ધ ટેન્કો સાથે સરહદ પાર કરતા પહેલાં તેની એરફોર્સ કીવના સૈન્ય અને સરકારી કમાન્ડ તથા નિયંત્રણ કેન્દ્ર પર હુમલો કરશે. સૂત્રો મુજબ રશિયાનો પહેલો પ્રયાસ રાજધાની કીવને તેના કબજામાં લેવાનો હશે.
દરમિયાન યુક્રેન પર યુદ્ધની આશંકાઓ વચ્ચે ભારતે મોડે-મોડે મંગળવારે ભારતીયોને યુક્રેન છોડવા અને જરૂર ન હોય તો ભારતીયોને યુક્રેન ન જવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. યુક્રેનની રાજધાની કીવમાં ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં વર્તમાન અનિશ્ચિતતાઓને જોતા ભારતીય નાગરિક, વિશેષરૂપે વિદ્યાર્થીઓ, પ્રવાસી ભારતીયોએ તાત્કાલિક યુક્રેન છોડી દેવું જોઈએ. યુક્રેનમાં અંદાજે ૨૦,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું મનાય છે. વધુમાં દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીયોને સતત તેમના સંપર્કમાં રહેવા જણાવાયું છે. જેથી જરૂર હોય ત્યારે તેમને મદદ કરી શકાય. યુક્રેનમાં રહેતા ભારતીયોને પણ જરૂર વિના બહાર ન નીકળવાની પણ સલાહ અપાઈ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/F56Vf9c
via IFTTT
ટિપ્પણીઓ નથી: