શ્રીલંકન કેબિનેટનું સામુહિક રાજીનામુંઃ વિપક્ષો સાથે મળીને રાજપક્સે સંયુક્ત સરકાર બનાવશે

શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે પ્રમુખ ગોતાબાયા રાજપક્સેએ તેના ભાઈ બેસિલ રાજપક્સેની નાણામંત્રીપદેથી હકાલપટ્ટી કરી હતી. કાયદા મંત્રી અલી સાબરીને નવા નાણામંત્રી બનાવાયા છે. તે સિવાય શ્રીલંકાની સરકારના તમામ ૨૬ કેબિનેટ મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. પ્રમુખે વિપક્ષોને સંયુક્ત કેબિનેટ બનાવવાનું આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાનપદે મહિન્દ્ર રાજપક્સે યથાવત રહેશે.
શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે રાજકીય સમીકરણો પણ બદલાયા છે. પ્રમુખ ગોતાબાયા રાજપક્સેએ વિપક્ષોને સંયુક્ત કેબિનેટ બનાવવાનું આમંત્રણ આપીને દેશની આર્થિક કટોકટી મુદ્દે સાથે મળીને કામ કરવાનું આહ્વાહન કર્યું હતું. સાથે સાથે ગોતાબાયાએ તેના ભાઈ બેસિલ રાજપક્સેની નાણામંત્રી તરીકે હકાલપટ્ટી કરી છે. આર્થિક કટોકટી પાછળ સાથી પક્ષો અને વિપક્ષો બેસિલને જવાબદાર ગણાવતા હતા. અગાઉ બે-ત્રણ કેબિનેટ મંત્રીઓ પણ જાહેરમાં બેસિલ રાજપક્સેની ટીકા કરી ચૂક્યા છે.
શ્રીલંકન કેબિનેટના તમામ ૨૬ મંત્રીઓએ સામુહિક રાજીનામા આપ્યા હતા.તેના સ્થાને આખી નવી કેબિનેટ કાર્યરત થશે. જોકે, મહિન્દ્ર રાજપક્સે વડાપ્રધાનપદે યથાવત રહેશે. નાણામંત્રાલયની જવાબદારી કાયદા મંત્રી અલી સાબરીને સોંપવામાં આવી હતી. તે સિવાયના ત્રણ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.
વડાપ્રધાન મહેન્દ્ર રાજપક્સેએ દેશવ્યાપી કર્ફ્યૂ હટાવી લીધો હતો. એકાદ-બે દિવસમાં વડાપ્રધાન નવી કેબિનેટની રચના કરીને રાષ્ટ્રજોગ સંબોધન કરશે એવી શક્યતા છે. વડાપ્રધાનના ઘરની સામે હિંસક દેખાવો ચાલુ રહ્યા હતા. પોલીસે દેખાવકારો સામે બળપ્રયોગ કર્યો હતો. ટીઅર ગેસ છોડવા ઉપરાંત લાઠી ચાર્જ પણ કરાયો હતો. ૨૦૦૦ જેટલા પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનના નિવાસ સામે દિવસભર દેખાવો કર્યા હતા.
દરમિયાન શ્રીલંકાના વિપક્ષના નેતાઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સહાય કરવાની રજૂઆત કરી હતી. વિપક્ષી નેતા સજિથ પ્રેમદાસાએ એક નિવેદનમાં કહ્યું હતું કે શ્રીલંકામાં ગંભીર આર્થિક કટોકટીના કારણે દવા અને જીવનજરૃરી ચીજવસ્તુઓ ખૂટી પડી છે. આવી સ્થિતિમાં જો ભારતના વડાપ્રધાન મદદ મોકલે તો અમારી માતૃભૂમિની રક્ષા થાય તેમ છે. તેમણે ભારતે અત્યાર સુધી મોકલેલી મદદની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતે સતત પેટ્રોલિયમ, અનાજ અનેે દવાઓનો જથ્થો પહોંચાડીને શ્રીલંકન નાગરિકોને મદદ કરી છે.
સત્તાધારી પક્ષ પોદુજાના પેરામુનાના ૧૪ સાંસદોએ સરકારથી અલગ થવાની જાહેરાત કરી હતી. જોકે, પક્ષના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સરકાર પાસે પર્યાપ્ત બહુમતી છે અને ટૂંક સમયમાં આર્થિક કટોકટીનો ઉકેલ લાવી દેવાશે. કેટલાક વિપક્ષી નેતાઓએ પ્રમુખ ગોતાબાયે રાજપક્શે રાજીનામુ આપે તેવી માગણી કરી હતી. દેશભરમાં આર્થિક કટોકટીના વિરોધમાં પ્રદર્શનો થતા રહ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1sQaGqI
via IFTTT
ટિપ્પણીઓ નથી: