દ્રષ્ટિહીન બની ગયેલા યુવાન સિંહને નેત્રમણી આરોપણથી નવી દ્રષ્ટિ મળી


જૂનાગઢનાં સક્કરબાગમાં પ્રથમ વખત સિંહની આંખની સર્જરી નેત્રમણીના માપ માટે મૃત્યુ પામેલા અન્ય સિંહની આંખોના માપ સહિતની વિગતો મદુરાઈ લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી

જૂનાગઢ, : થોડા સમય પહેલા ગીરના જામવાળા રેન્જ વિસ્તારમાં એક સિંહની દ્રષ્ટિ જતી રહી હતી. આ સિંહને રેસ્ક્યુ કરી તપાસ કરતા તેને કઈ દેખાતું ન હોવાનું સામે આવ્યું હતું. આથી આ સિંહની નેત્રમણી ફિટ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તે કપરૂં હતુ. આ દરમ્યાન અન્ય એક સિંહનું કુદરતી મોત થતા પી.એમ. બાદ તેની આંખ કાઢી તેનું માપ અને અન્ય વિગતો મદુરાઈ લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી અને ત્યાંથી તે માપની નેત્રમણી આવતા સિંહમાં આરોપણ કરવામાં આવી હતી અને દ્રષ્ટિહીન સિંહને નવી દ્રષ્ટિ મળી છે.

ગીર જંગલના જામવાળા રેન્જ વિસ્તારમાં ગત દિવાળી આસપાસ એક પાંચેક વર્ષનો યુવાન સિંહ બેઠો રહેતો હતો અને તેની આસપાસમાંથી કોઈ પશુ પસાર થાય તો પણ તે કઈ હલચલ કરતો ન હતો. અવાજ આવે તો તેના પર ધ્યાન આપતો હતો. વનવિભાગના સ્ટાફને શંકા જતા આ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સિંહની આંખોની તપાસ કરતા સિંહની આંખોમાં મોતીયો હોવાથી તે જોઈ શકતો ન હોવાનું સામે આવ્યું હતું. 

બાદમાં આ સિંહને સક્કરબાગ લાવવામાં આવ્યો હતો. સિંહની વય પાંચેક વર્ષની હતી અને તે જોઈ ન શકવાથી શિકાર ન કરી શકે તો જંગલમાં ન રહી શકે એવી સ્થિતિ થઈ ગઈ હતી. આથી આ સિંહને નેત્રમણી આરોપણ કરી નવી દ્રષ્ટિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તે કામ કપરૂ હતું. નેત્રમણી મદુરાઈ બનતી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યાં આંખનું માપ તેમજ અન્ય વિગત મોકલવી પડે તેમ હતી. આ બાબતને લઈને મૂંઝવણ ઉભી થઇ હતી. 

આ દરમ્યાન ગીર જંગલમાં એક સિંહનું કુદરતી રીતે મોત થયું હતું. આથી આ સિંહના પી.એમ. બાદ તેની આંખો કાઢી આંખના સર્જન તેમજ વેટરનરી તબીબોએ તેના માપ સહિતની વિગતો લઈ મદુરાઈ લેબોરેટરીમાં મોકલી હતી અને ત્યાંથી નેત્રમણી બનીને આવી જતા આંખના સર્જન અને વેટરનરી તબીબોએ સર્જરી કરી નેત્રમણી આરોપણ કરી હતી અને ત્યારબાદ આ સિંહને નવી દ્રષ્ટિ મળી છે. હવે આ સિંહ આસપાસમાં હલચલ જોઈને તેને પ્રતિસાદ આપે છે. આગામી સમયમાં આ સિંહને જંગલમાં છોડી મુકવામાં આવશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1ZoypHc
via IFTTT

ટિપ્પણીઓ નથી: