સુપ્રીમને અમે 'તારીખ પે તારીખ' કોર્ટ નહીં બનવા દઇએ


- સુપ્રીમમાં 70 હજારથી વધુ પડતર કેસો વચ્ચે વકીલો દ્વારા મુદત મગાતા ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આકરી ટકોર

- ન્યાયાધીશો આવતી કાલના કેસોની સુનાવણીની તૈયારી અડધી રાત સુધી જાગીને કરતા હોય છે ને વકીલો કેસોને સ્થગિત કરાવી જાય છે

- તારીખ પે તારીખની કોર્ટની છાપ સુધારવાની છે, સુપ્રીમ કોર્ટની મર્યાદા જાળવી રાખવી અત્યંત જરુરી : ડી.વાય. ચંદ્રચુડ

- દેશભરની કોંર્ટોમાં 4.70 કરોડથી વધુ કેસો પડતર

- પૂજા સ્થળ કાયદાની જોગવાઇઓને પડકારતી અરજી મુદ્દે નોટિસને આઠ મહિના થયા છતા કેન્દ્રએ જવાબ કેમ નથી આપ્યો : સુપ્રીમ

નવી દિલ્હી : દેશભરની કોર્ટોમાં લાખો કેસો પેન્ડિંગ છે અને તેનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ૭૧ હજારથી વધુ કેસો પેન્ડિંગ છે, એવામાં દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનવાની શક્યતા ધરાવતા ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટને તારીખ પે તારીખ કોર્ટ નહીં બનવા દઇએ. વકીલો દ્વારા કેસોમાં તારીખ માગવામાં આવે છે, જેને કારણે પણ કેસો લાંબા સમય સુધી પડતર રહે છે. તેથી ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે બોલિવૂડની ફિલ્મના પ્રખ્યાત ડાયલોગ તારીખ પે તારીખને ટાંકીને આ ટકોર કરી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે કેસોને લાંબા ચલાવવા કે પડતર રાખવાની પોતાની છાપને કોર્ટ હવે બદલવાનો પ્રયાસ કરશે. આ સાથે જ તેઓએ એક કેસની સુનાવણીને સ્થગિત કરવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટની આ તારીખ પે તારીખ ઇમેજને બદલવા માગીએ છીએ. વકીલો દ્વારા વારંવાર કેસોને સ્થગિત કરવાની માગણી થતી હોય છે. જેને કારણે સુપ્રીમ કોર્ટની છાપ ખરડાઇ રહી છે. હું આ મુદ્દે ચિંતિત છું અને હવે આ તારીખ પે તારીખ વાળી છાપ બદલવામાં આવશે. 

ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ હેમા કોહલીની બેંચ સમક્ષ એક મામલાની સુનાવણી દરમિયાન વકીલે કહ્યું હતું કે અમે આ મામલે વધુ સમયની માગણી કરીએ છીએ. જોકે ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે વધુુ સમય આપવાની ના પાડી દીધી હતી અને વકીલને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે હાલ જ દલીલો કરે અન્યથા પાસ ઓવર લઇ લે અને તૈયારી કરીને ફરી મામલા પર દલીલો કરે પણ અમે વધુ તારીખ નહીં ફાળવીએ. તેઓેએ સુનાવણી દરમિયાન કહ્યું કે લોકોએ આ મુદ્દે ચર્ચા કરવી પડશે. આ દેશની સર્વોચ્ચ અદાલત છે.  ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની બેંચ સમક્ષ એક પૂજારી તરફથી દીવાની અપીલનો મામલો આવ્યો હતો. જેમાં વકીલે વધુ તારીખ માગી હતી, જેનો સ્વિકાર કરવાની ન્યાયાધીશે ના પાડી દીધી હતી. ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે ન્યાયાધીશ બીજા દિવસે કેસોની સુનાવણી કરવાની હોય તેની તૈયારી કરવા માટે અડધી રાત સુધી જાગતા હોય છે. અને મામલાની ફાઇલોને ધ્યાનથી વાંચે છે. જ્યારે બીજી તરફ વકીલો કોર્ટમાં આવે છે અને તારીખની માગણી કરીને મામલાને સ્થગિત કરાવવા માગતા હોય છે.  

આ ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિતની બેંચ દ્વારા  સુપ્રીમ કોર્ટમાં પૂજા સ્થળ ૧૯૯૧ના કાયદાની જોગવાઇને પડકારતી અરજીની સુનાવણી ચાલી રહી હતી ત્યારે કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાને પણ કોર્ટે સવાલો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે અમે માર્ચ મહિનામાં કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો હતો, શું ખરેખર કેન્દ્ર સરકાર જવાબ આપવા માગે છે ખરી? અત્યાર સુધી સરકારે કોઇ જવાબ દાખલ કર્યો? બાદમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે અમે જવાબ દાખલ કરીશું.  સુપ્રીમ કોર્ટે આ મામલે જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને વધુ બે સપ્તાહનો સમય આપ્યો છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GbKLdx9
via IFTTT

ટિપ્પણીઓ નથી: