શેખ હસીનાની ભારતની મુલાકાતથી પાક. છંછેડાયું, સરહદે ગોળીબાર

- દોઢ વર્ષના વિરામ બાદ પ્રથમ વખત પાકે. શસ્ત્ર વિરામનો ભંગ કર્યો
- અમૃતકાળના આગામી 25 વર્ષમાં બાંગ્લાદેશ સાથે આપણા સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે : મોદી, બંને દેશો વચ્ચે છ ક્ષેત્રોમાં કરારની શક્યતા
- અનંતનાગમાં હિઝબુલના બે આતંકીઓ ઠાર, સરહદે ગોળીબાર બાદ પાક. સાથે ભારતની સૈન્ય બેઠક યોજાઇ
નવી દિલ્હી/શ્રીનગર : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગાઢ સંબંધ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોનો પરસ્પર સહયોગ વધ્યો છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથેની મુલાકાત પછી કહ્યું હતું. બીજીબાજુ શેખ હસીનાએ પણ ભારતને તેનો સાચો મિત્ર ગણાવ્યો હતો અને કહ્યું કે ભારત હંમેશા અમારો સાચો સાથી રહ્યો છે. જોકે, શેખ હસીનાના ચાર દિવસના ભારત પ્રવાસથી પાકિસ્તાન છંછેડાયું હોય તેમ જણાય છે. પાકિસ્તાની રેન્જર્સે મંગળવારે જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં સરહદે તારની વાડ બનાવી રહેલી બીએસએફની ટૂકડી પર ગોળીબાર કર્યો હતો. ભારતીય દળોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના ભારત યાત્રા પર આવ્યાં છે, તે પાકિસ્તાન સહન કરી શક્યું નથી. પાકિસ્તાનના રેન્જર્સે મંગળવારે સવારે જમ્મુ અને કાશ્મીરનાં અરનિયા સેકટરમાં સીમા સુરક્ષા દળ ની એક પહેરેગીર ટુકડી ઉપર ગોળીબાર કર્યો હતો. તેનો આપણા જવાનોએ કઠોર જવાબ પણ આપ્યો હતો. તેમ પ્રવક્તાએ તેમનાં એક નિવેદનમાં જણાવ્યું હતું. પાકિસ્તાનના રેન્જર્સે જમ્મુ પાસેની અંતરરાષ્ટ્રીય સરહદે પણ ગોળીબાર કર્યો હતો. આમ કરી પાકિસ્તાને ૨૪ ફેબુ્ર. ૨૦૨૧માં જમ્મુ-કાશ્મીરમાં સરહદ અને અન્ય વિસ્તારોમાં સામ સામા ગોળીબારો ન કરવા કરેલી સમજૂતીનો સદંતર ભંગ કર્યો છે.
પોતાનું નામ ન છાપવાની શર્તે એક અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબારી કરાઈ હોવાની કોઈ ઘટના બની ન હતી. પરંતુ આજે (મંગળવારે) પાકિસ્તાને તે સમજૂતી તોડી છે. આ ઘટના એવા સમયે બની છે કે જ્યારે બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે આવેલાં છે.
ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ બીજા દિવસે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતની 'પડોશી પહેલા'ની નીતિ હેઠળ બાંગ્લાદેશ અગ્રણી ભાગીદાર રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશ વચ્ચે પરસ્પર સહયોગ વધ્યો છે. અમે આઈટી, અવકાશ અને ન્યૂક્લિયર એનર્જી સહિત તમામ સેક્ટરો તરફ પગલાં વધાર્યા છે. આગામી ૨૫ વર્ષમાં ભારત-બાંગ્લાદેશના સંબંધ નવી ઊંચાઈઓ પર પહોંચશે. ભારત-બાંગ્લાદેશે ભૂમિ અને સમુદ્રી સરહદ સીમાંકન, સુરક્ષા, સંપર્ક, વિકાસ સહયોગ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, શક્તિ અને ઊર્જા, વેપાર તથા વાણિજ્ય, અર્થતંત્ર અને સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં નક્કર પરિણામ મેળવ્યા છે.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને મેં આતંકવાદ, કટ્ટરવાદ અને જળવાયુ પરિવર્તન સહિત દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી છે. વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આપણે આપણા અર્થતંત્રોને મજબૂત કરવા જોઈએ. ભારતમાં અમૃતકાળના આગામી ૨૫ વર્ષોમાં બાંગ્લાદેશ સાથે આપણા સંબંધ નવી ઊંચાઈએ પહોંચશે. સમગ્ર એશિયામાં બાંગ્લાદેશની નિકાસનું ભારત સૌથી મોટું બજાર છે. આ પ્રગતિને આગળ વધારવા બંને દેશ ટૂંક સમયમાં દ્વિપક્ષીય આર્થિક વ્યાપક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પર ચર્ચા શરૂ કરશે. શેખ હસીનાના આ પ્રવાસમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે છ સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
બીજી તરફ આતંકીઓ સામે સૈન્યની આક્રામક કાર્યવાહી ચાલી રહી છે. અનંતનાગમાં એક એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ ઠાર મરાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સૌથી પહેલા ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સૈન્ય દ્વારા થયેલા ગોળીબારમાં આ આતંકીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકીઓના નામ દાનિશ બટ અને બશરત નાબી છે. આ બન્ને આતંકીઓ હિઝબુલ સાથે જોડાયેલા હતા. પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામના ભંગ બાદ બન્ને દેશોના સૈન્ય દ્વારા જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે બેઠક યોજાઇ હતી અને શસ્ત્ર વિરામનું પાલન કરવાની પાકિસ્તાને ખાતરી આપી હતી.
કાશ્મીરમાં એસઆઇએના દરોડા, અનેક મોબાઇલ-દસ્તાવેજો જપ્ત
જમ્મુ કાશ્મીરની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઇએ) દ્વારા વિવિધ સ્થળે દરોડા પડાયા હતા. પાકિસ્તાનના માસ્ટરમાઇન્ડના ઇશારે આતંકીઓ દ્વારા કાશ્મીરમાં તૈયાર કરાયેલા ઇકોસિસ્ટમને તોડી પાડવા માટે આ દરોડા પડાયા હતા. સ્થાનિક સ્તરે આતંકીઓને મદદ કરનારાઓના મોબાઇલ ફોન, વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8gSun3j
via IFTTT
ટિપ્પણીઓ નથી: