હું અહીં છું, પણ મારું મન મોરબીના પીડિત પરિવારો સાથે : પીએમ મોદી


- મોરબીની ઘટના  બાદ રાષ્ટ્રીય એકતા દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરાયો

- પુલ દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવાના આદેશો અપાયા : વડાપ્રધાન આજે મોરબીની મુલાકાતે

રાજપીપલા : સ્ટેચ્યુ ઓફ યૂનિટિ  ખાતે લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાની પદ પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પરેડના સ્થળે આવી પહોંચ્યા બાદ સંબોધન કરતા કહ્યુ હતું કે, આજે હું એકતા પરેડના કાર્યક્રમમાં આવ્યો છું પરંતુ મારૂ મન મોરબીમાં બનેલ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામેલ જનતાના પરિવારોમાં પરોવાયેલું છે. 

ગુજરાત સરકાર  ગઇકાલ સાંજથી રાહત અને બચાવ માટે કામ કરી રહી છે તો કેન્દ્ર સરકાર પણ રાજય સરકારને પુરી મદદ કરી રહી છે. આ ઘટનાને લઇ એક કમિટિ બનાવી છે અને હુ દેશના લોકોને વિશ્વાસ અપાવવા માગુ છું કે રાહત અને બચાવના કાર્યમાં કોઇ કમી નહી આવે. આ ગોઝારો અકસ્માત બનવા પાછળ શું કારણ છે તેની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. મોરબીની ઘટનાના પગલે એકતા પરેડ ખાતેના  સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે તે બદલ હું માફી માંગું છું. તેમણે કહ્યું હતું કે  ગઇકાલની મોરબીની હોનારત અને કોરોના મહામારીના કપરાકાળમાં દેશના દરેક નાગરિકો પીડિતોની પડખે આવીને ઉભા રહયાં છે. આ એકતા જ ભારતના દુશ્મનોને ખટકે છે. આજે પણ દેશને તોડવા માટે વિદેશી તાકાતો અને દેશમાં રહી દેશ સાથે ગદારી કરનાર તત્વોથી આપણે બચવાનું છે.

દેશનો દરેક નાગરિક આજે સરદાર સાહેબના વિઝનને સાકાર થતુ જોઇ રહ્યો છે. દેશના નાગરિકોને તોડવા માટે દેશના ઇતિહાસને તોડી મરોડીને દર્શાવવામાં આવતા નાગરિકની એકતા તૂટી છે. પરંતુ આવા તત્વોને આપણે એકતા સાથે એક હિન્દુસ્તાની તરીકે જવાબ આપવાનો છે. આ પ્રસંગે વડાપ્રધાને ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t5ai0G4
via IFTTT

ટિપ્પણીઓ નથી: