પાક.ના ખૈબરમાં તાલિબાનનો હુમલો : 23 સૈનિકોનાં મોત


- વિસ્ફોટકોથી ભરેલા વાહનથી સૈન્યની પોસ્ટ ઉડાવી

- હુમલા બાદ સમગ્ર જિલ્લાની હોસ્પિટલોમાં ઇમર્જન્સી જાહેર, શાળા-કોલેજોને બંધ કરી સુરક્ષા વધારવામાં આવી

- પાકિસ્તાન સામે અમે ફિદાયીન મિશન શરૂ કર્યું છે: તાલિબાન 

- પોસ્ટ પર હુમલો કરનારા છ સહિત કુલ 17 આતંકીઓ મર્યા : પાક. સૈન્ય

- પાક.ના ખૈબર પ્રાંતના કેટલાક વિસ્તારો પર તાલિબાને કબજો કરી લીધો હોવાના અહેવાલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર-પકતુંખવા પ્રાંતમાં આતંકીઓએ પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો કર્યો હતો. પાકિસ્તાની તાલિબાન સંગઠન દ્વારા થયેલા આ હુમલામાં પાકિસ્તાની સૈન્યના ૨૩ જવાનો માર્યા ગયા હતા. પાક.માં તાજેતરના તમામ હુમલાઓમાં આ સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે. પાક. સૈન્યએ જણાવ્યું હતું કે વહેલી સવારે સુરક્ષા જવાનોની પોસ્ટ પર છ જેટલા આતંકીઓએ આ હુમલો કર્યો હતો.  

દરાબન વિસ્તારમાં આવેલી પાકિસ્તાની સૈન્યની પોસ્ટને આતંકીઓ દ્વારા પાર કરવાનો પ્રયાસ થયો હતો. જોકે સુરક્ષા જવાનોએ તેમને રોક્યા હતા. આતંકીઓ પાસે રહેલા વાહનમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો ભર્યા હતા. પ્રવેશવાનો પ્રયાસ નિષ્ફળ જતા બાદમાં આતંકીઓએ આ વાહનનો સૈન્યની પોસ્ટ સાથે અકસ્માત સર્જીને મોટા વિસ્ફોટને અંજામ આપ્યો હતો. આ વિસ્ફોટ એટલો તિવ્ર હતો કે સૈન્યની પોસ્ટની ઇમારત જ ધ્વસ્ત થઇ ગઇ હતી. જેને કારણે ૨૩ જેટલા જવાનો માર્યા ગયા હતા. આ દરમિયાન સૈન્ય દ્વારા આતંકીઓને પણ ઘેરી લેવામાં આવ્યા હતા. સામસામે થયેલા ગોળીબારમાં બાદમાં છ આતંકીઓ પણ માર્યા ગયા હતા. 

આ હુમલાને પગલે સમગ્ર વઝિરિસ્તાન જિલ્લાની હોસ્પિટલોમાં ઇમર્જન્સી જાહેર કરી દેવામાં આવી હતી, જ્યારે જિલ્લાની શાળાઓ અને કોલેજોને બંધ કરી દેવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની તાલિબાન નામના આતંકી સંગઠન સાથે જોડાયેલા તેહરિક-એ-જિહાદ પાકિસ્તાન (ટીજેપી) દ્વારા લેવામાં આવી હતી. તાલિબાને આ સંગઠન થોડા સમય પહેલા જ બનાવ્યું છે. આતંકી સંગઠનના પ્રવક્તા આતંકી મુલ્લાહ કાસીમે કહ્યું હતું કે પાકિસ્તાન સામે અમે ફિદાયીન મિશન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો હતો. 

પાકિસ્તાને લાખો અફઘાનિસ્તાનીઓને પાકિસ્તાનમાંથી કાઢી મુક્યા છે. જે બાદથી તાલિબાની આતંકી સંગઠનો દ્વારા પાક.માં હુમલા વધારી દેવામાં આવ્યા છે. ગયા મહિને ચાર તારીકે પણ આ જ સંગઠને પાકિસ્તાન એરફોર્સ પર હુમલો કર્યો હતો. દરમિયાન આ હુમલા બાદ પાકિસ્તાની સૈન્યની દેશની સુરક્ષાની જવાબદારી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં પાક. સૈન્યએ દાવો કર્યો હતો કે અમે હુમલો થયો તે જ વિસ્તારમાં અન્ય એક ઓપરેશનમાં ૧૭ આતંકીઓને ઠાર માર્યા છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/INLFhkp
via IFTTT

ટિપ્પણીઓ નથી: