બ્લેક ડેઃ દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા, ફરી વિરોધ તેજ કરશે અન્નદાતા

- સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના કહેવા પ્રમાણે તેમને ડરાવીને કે થકવીને ડગાવી નહીં શકાય
નવી દિલ્હી, તા. 26 મે, 2021, બુધવાર
દિલ્હીની સરહદોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બુધવારે 6 મહિના પૂરા થઈ ગયા છે. ત્યારે બુધવારે જ વર્તમાન કેન્દ્ર સરકારને સત્તામાં સતત 7 વર્ષ પૂર્ણ થયા છે. બુદ્ધ પૂર્ણિમાના આ અવસર પર ખેડૂતોએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પોતાના વિરોધનો સ્વર ફરી તેજ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે.
સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના કહેવા પ્રમાણે તેમને ડરાવીને કે થકવીને ડગાવી નહીં શકાય. જ્યાં સુધી સરકાર તેમના વિરૂદ્ધ નોંધાયેલા તમામ કેસ પાછા નહીં ખેંચે અને તેમની માંગણીઓ નહીં સ્વીકારી લે ત્યાં સુધી તેઓ દિલ્હીની સરહદેથી પાછા નહીં જાય.
ખેડૂતોએ દિલ્હી સહિત તમામ ધરણા સ્થળોએ બુદ્ધ પૂર્ણિમા પર્વ ઉજવવાની જાહેરાત કરી છે.
ધરણા સ્થળોએ કાળા વાવટા ફરકાવીને અને સરકારના પૂતળા સળગાવીને વિરોધ કરવાની તૈયારી છે. સંયુક્ત ખેડૂત મોરચાના નેતા બલવીર સિંહ રાજેવાલ, ડૉ. દર્શન પાલ, ગુરનામ સિંહ ચઢૂની, હનન મૌલા વગેરે નેતાઓના કહેવા પ્રમાણે ખેડૂતો સત્ય અને અહિંસાના બળ પર પોતાનું આંદોલન આગળ વધારી રહ્યા છે. પરંતુ ભાજપની કેન્દ્ર સરકાર અનેક વખત આ આંદોલનને હિંસક સ્વરૂપ આપવા પ્રયત્ન કરતી રહે છે જેમાં તે હંમેશા અસફળ રહી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fNg1GA
via IFTTT
ટિપ્પણીઓ નથી: