કેન્દ્ર સરકાર અમને કોરોના સામે લડવા દે, બંગાળમાં ઉશ્કેરણી બંધ કરેઃ મમતા બેનરજી


કોલકતા, તા. 7 મે 2021, શુક્રવાર

પશ્ચિમ બંગાળના ત્રીજી વખત મુખ્યમંત્રી બનનારા મમતા બેનરજીએ ખુરશી સંભાળતાની સાથે જ કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર જનતાના નિર્ણયનો સ્વીકાર કરે અને રાજ્યને કોરોનાને કાબૂમાં લેવા માટે કામ કરવા દે. કેન્દ્રના મંત્રીઓ બંગાળમાં કોમવાદી તોફાનોને વધારે હવા આપી રહ્યા છે. અમે કેન્દ્ર સરકાર સાથે ઝઘડા કરવા નથી માંગતા.

મેં મુખ્યમંત્રી પદ માટે શપથ લીધાના ગણતરીના કલાકોમાં કેન્દ્રની તરફથી એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, ગુરુવારે કેન્દ્રની ટીમ બંગાળ પહોંચી રહી છે. શું ક્યારેય કેન્દ્રની ટીમ ઓક્સિજન કે વેક્સીનની અછતની જાણકારી લેવા માટે આવી?

તેમણે કહ્યુ હતુ કે, હાથરસમાં થયેલા રેપ અને યુપી તથા દિલ્હીમાં થયેલી હિંસાના કેસમાં પણ કેન્દ્ર સરકારે આટલી તેજી દેખાડી હોત તો સારુ થાત. હું જાણું છું કે રાજ્ય સરકારે મરનારાના બે લાખની સહાયની જાહેરાત કરી છે પણ તેનાથી મરનાર વ્યક્તિ પાછો નથી આવવાનો પણ પરિવારોને થોડી રાહત મળશે.

તેમણે કહ્યુ હતુ કે, આસામના નેતાઓ દાવો કરી રહ્યા છે કે બંગાળના ભાજપા કાર્યકરો હિજરત કરીને આસામમાં આવી રહ્યા છે પણ આસામમાં પણ જ્યારે બબાલ થાય છે ત્યારે ત્યાંના લોકો અહીંયા આવી જતા હોય છે. જ્યાં ભાજપની બેઠકો વધારે આવી છે ત્યાં જ હિંસા થઈ છે તે પણ આશ્ચર્યની વાત છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vPIxha
via IFTTT

ટિપ્પણીઓ નથી: