કોરોનાની સ્થિતિ અંગે વડાપ્રધાને કરી અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા, શું લોકડાઉન લાગશે?

- ઓક્સિજન અને બેડની તંગી વચ્ચે દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ભારે વધારો
નવી દિલ્હી, તા. 7 મે, 2021, શુક્રવાર
દેશમાં કોરોનાના કેસમાં ખૂબ જ બેકાબૂ ગતિએ વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ કારણે શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. વડાપ્રધાને તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડના મુખ્યમંત્રીઓની સાથે-સાથે પુડ્ડુચેરી અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે પણ વાતચીત કરી હતી.
ભારતમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. ઓક્સિજન અને બેડની તંગી વચ્ચે કોરોનાના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોએ પહેલેથી જ પોતાના ત્યાં લોકડાઉન, કર્ફ્યુ, નાઈટ કર્ફ્યુ, વીકેન્ડ લોકડાઉન જેવા પગલા ભર્યા છે અને આ બધા વચ્ચે દેશમાં સંપૂર્ણ લોકડાઉન અંગે ચર્ચા થઈ રહી છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રતિબંધો લાગુ છે.
આ તરફ અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટ ડૉ. એન્ટની ફાઉચીએ પણ ભારતે પોતાની વર્તમાન સ્થિતિનો સામનો કરવા તમામ તાકાત કામે લગાવવી પડશે તેમ કહ્યું હતું. જો લોકડાઉન લાગુ થશે તો તે ટ્રાન્સમિશનની ગતિને રોકશે, આ સમયે સરકારે પોતાની પૂરી તૈયારી કરવી જોઈએ.
ત્રીજી લહેરની ચેતવણી
દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે પરંતુ નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી પણ આપી દીધેલી છે. ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે જ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે તેમ કહ્યું હતું. જો કે, તેમના મતે કોરોનાની ત્રીજી લહેર ક્યારે ત્રાટકશે તેનો અંદાજો ન લગાવી શકાય.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SyUlpG
via IFTTT
ટિપ્પણીઓ નથી: