કોરોનાના દર્દીના મૃત્યુ બાદ નિષ્ક્રિય થઈ જાય છે વાયરસ, એઈમ્સના નિષ્ણાતોનો ખુલાસો


- કોરોના પેશન્ટના મૃત્યુના 24 કલાક બાદ તેના નાક કે મોઢામાં સંક્રમણ નહોતું મળી આવ્યું

નવી દિલ્હી, તા. 25 મે, 2021, મંગળવાર

કોરોનાના સંક્રમણના કારણે કોઈ દર્દીનું મૃત્યુ થાય ત્યાર બાદ તેના શરીરમાં રહેલો વાયરસ નિષ્ક્રિય થઈ જાય છે. સાથે જ તેના દ્વારા અન્ય લોકો સંક્રમિત થશે તેવી આશંકા પણ ખતમ થઈ જાય છે. પરંતુ સાવચેતીના પગલારૂપે સંક્રમિત વ્યક્તિના મૃતદેહના અંતિમ સંસ્કાર પ્રોટોકોલ પ્રમાણે જ કરવામાં આવે તે જરૂરી છે. 

નવી દિલ્હી ખાતે આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ)ના ફોરેન્સિક નિષ્ણાતોએ અભ્યાસ દરમિયાન જાણ્યું કે કોરોના પેશન્ટના મૃત્યુના 24 કલાક બાદ તેના નાક કે મોઢામાં સંક્રમણ નહોતું મળી આવ્યું. અભ્યાસ દરમિયાન એઈમ્સના ડોક્ટર્સે 100 મૃતદેહોનું પરીક્ષણ કર્યું હતું. તે તમામ લોકો કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ બાદ તેમના પાર્થિવ શરીરની તપાસ કરવામાં આવી તો તેઓ કોરોના નેગેટિવ આવ્યા હતા. 

એઈમ્સના ફોરેન્સિક વિભાગના અધ્યક્ષ ડૉ. સુધીર કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, મૃતદેહ દ્વારા કોરોના સંક્રમણ ફેલાવા અંગેની ચર્ચાઓના તથ્ય એકત્રિત કરવા એક પાયલોટ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસ માટે કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેમના ગળા અને નાકમાંથી મૃત્યુના એક દિવસ બાદ સ્વેબ લેવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી જેમાં મૃતદેહમાં કોરોના વાયરસ ન હોવાનું સામે આવ્યું હતું. 

જો કે, મૃત્યુના થોડા કલાકો બાદ મૃતદેહમાંથી નીકળતા આંતરિક તરલીય પદાર્થને લઈ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આ માટે ભારત સરકારે એઈમ્સના ફોરેન્સિક નિષ્ણાતોની સલાહ પર દિશા-નિર્દેશો બનાવ્યા છે. 

આ અભ્યાસ હાલ ખૂબ જરૂરી છે કારણ કે, દિલ્હી સહિત અનેક શહેરોમાં એવું જોવા મળ્યું છે કે, પરિવારજનો મૃતદેહને સ્મશાન ઘાટ પર છોડીને જ જતા રહે છે. અનેક પરિવારો અસ્થિ માટે પણ ફરી સ્મશાનઘાટ નથી આવતા. 

ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના નાકમાં રૂ લગાવીને એક પોલિથિનમાં મૃતદેહ લપેટી દેવામાં આવે તો સંક્રમણનું જોખમ નથી રહેતું. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QQs7Gs
via IFTTT

ટિપ્પણીઓ નથી: