ખુલાસોઃ વિશ્વમાં કોરોના ફેલાયો તે પહેલા વુહાન લેબના સંશોધકો થયા હતા બીમાર, ચીનથી જ નીકળ્યો હતો વાયરસ!

- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ કોરોના વાયરસના તથ્ય અંગે તપાસ કરવા માટે વુહાન પણ ગઈ હતી
નવી દિલ્હી, તા. 24 મે, 2021, સોમવાર
છેલ્લા આશરે દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. આ વાયરસે કરોડો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને લાખો જિંદગીઓનો ભોગ લીધો છે. આ ખતરનાક વાયરસની શરૂઆતને લઈ હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્વ આ કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર માની રહ્યું છે જ્યારે ચીન તેનો ઈનકાર કરતું આવ્યું છે. આ બધા વચ્ચે એક રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે વુહાનની જે લેબ ખાતે કોરોના વાયરસની શરૂઆત ગણાવાઈ રહી છે તે લેબના 3 કર્મચારીઓને જ્યારે વિશ્વને કોરોના અંગે કશી ખબર નહોતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમેરિકી વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો તે પહેલા ચીનમાં વુહાનની લેબના સંશોધકો સંક્રમિત થયા હતા. રિપોર્ટ પ્રમાણે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજીના 3 સંશોધકો નવેમ્બર 2019માં બીમાર થયા હતા અને તેમણે હોસ્પિટલમાં સારવાર માટે મદદ પણ માંગી હતી. આ સંશોધકોમાં કોરોના સંક્રમણના લક્ષણો હતા. નવેમ્બર 2019 બાદ ડિસેમ્બર-જાન્યુઆરી વચ્ચે જ વિશ્વને કોરોના વાયરસ મહામારી અંગે જાણ થઈ હતી.
ચીને નાશ કર્યા પુરાવા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ કોરોના વાયરસના તથ્ય અંગે તપાસ કરવા માટે વુહાન પણ ગઈ હતી. પરંતુ ચીને કેટલાક ક્ષેત્રમાં તપાસ ન કરવા દીધી અથવા તો તમામ પુરાવાઓનો નાશ કરી દીધો. તપાસ દરમિયાન સ્વાસ્થ્ય સંગઠનને કોઈ નક્કર પુરાવા નહોતા મળ્યા જેથી કોરોના વાયરસ વુહાનની લેબમાંથી ફેલાયો હોવાની પૃષ્ટિ થઈ શકે.
આજથી વિશ્વ સ્વાસ્થ્ય સભાની બેઠક
આજથી જીનેવા ખાતે વર્લ્ડ હેલ્થ અસેમ્બલીની મહત્વની બેઠક શરૂ થઈ રહી છે ત્યારે જ આ ખુલાસો સામે આવ્યો છે. આ બેઠક 1 જૂન સુધી ચાલશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સૌથી મોટી નિર્ણાયક સંસ્થાની આ બેઠક કોવિડ સંકટને ખતમ કરવાના ઉપાયો અને ભવિષ્યમાં આવી કોઈ બીમારીને રોકવાના ઉપાયો અંગે ચર્ચા કરશે. આ બેઠકમાં વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિ મંડળ, યુએન પર્યવેક્ષક, સહયોગી સદસ્યો, બિનસરકારી સંગઠનોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yBeBYn
via IFTTT
ટિપ્પણીઓ નથી: