સરકારની નીતિ છે કે, સત્ય છુપાવો અને જુઠ્ઠાણા ફેલાવો, વેક્સીનની અછત પર બોલ્યા રાહુલ ગાંધી
નવી દિલ્હી,તા.19 મે 2021,બુઘવાર
ભારતમાં કોરોનાના કહેર વચ્ચે એવા સંખ્યાબંધ રાજ્યો છે જ્યાં ઓક્સિજન કમીના કારણે લોકોના મોત થયા છે, હવે કોરોના સામેના જંગમાં રસીકરણ ઝડપી કરવાની જાહેરાત સરકારે કરી તો છે પણ રાજ્યો વેક્સીનની અછત હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
દેશમાં વેક્સીનની અછતના મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને કહ્યુ છે કે, વેક્સીન ઓછી થઈ રહી છે અને કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા વધી રહી છે. કેન્દ્ર સરકારની નીતિ છે કે, ધ્યાન બીજે દોરો, જુઠ્ઠાણા ચલાવો અને બૂમબરાડા કરીને સત્યને છુપાવી દો.
રાહુલ ગાંધીએ એક તસવીર પણ શેર કરી છે. જેમાં પાંચ એપ્રિલ પછી દેશમાં વેક્સીનની અછતનો ગ્રાફ દર્શાવવામાં આવ્યો છે. ગ્રાફમાં બતાવાય છે કે, 12 એપ્રિલ પછી દેશમાં વેક્સીન મુકવાનો દર સતત ઘટી રહ્યો છે અને બીજી તરફ કોરોનાના કારણે થઈ રહેલા મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે ક, કેન્દ્ર સરકારે વેક્સીનેશન અભિયાનમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી લેવાની છુટ આપી છે. પણ ઘણા રાજ્યોમાં વેક્સીનના ત્રીજા તબક્કાની શુઆત પણ નથી થઈ. રાજ્યોમાં અભિયાન ધીમુ પડી ચુકયુ છે. દેશમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2.67 લાખ દર્દીઓ સામે આવ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RmrTqX
via IFTTT
ટિપ્પણીઓ નથી: